અમદાવાદમાં માલધારી વસાહતોમાં માલિકી હક વસાહતીઓને આપવા માંગ
- 60 વર્ષ બાદ પણ મકાનનો માલિકી હક મેળવી શકાયો નથી
- અમદાવાદમાં 1960 માં સરકારે માલધારીઓને વસાવવા ચાર વસાહતો બનાવી પરંતુ હજુ સુધી માલિકીપણું મળ્યું નથી
અમદાવાદ,તા.11 સપ્ટેમ્બર 2021, શનિવાર
અમદાવાદમાં માલધારી વસાહતોનો પ્રશ્ન ૬૦ વર્ષ બાદ પણ વણઉકલ્યો છે. ઓઢવ, અમરાઇવાડી, જશોદાનગર, નવી જશોદાનગર આ ચારેય રબારી વસાહતો વર્ષ ૧૯૬૦માં અસ્તિત્વમાં આવી હતી. સરકારે માલધારીઓને રહેવા, પશુપાલન માટે ભાડા પટ્ટે આ જગ્યા ફાળવી હતી. આ વસાહતોમાં રહેતા માલધારીઓની વર્ષો જુની માંગણી છેકે તેઓને માલિકી હક આપવામાં આવે, પરંતુ સરકાર દ્વારા તેમની માંગણી આજદીન સુધી સંતોષાઇ નથી. તેથી તેઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ઓઢવ રબારી વસાહતમાં ૪૦૦, અમરાઇવાડી રબારી વસાહતમાં ૩૦૦, જશોનાદનગર રબારી વસાહતમાં ૩૦૦, નવી જશોદાનગર રબારી વસાહતમાં ૪૦૦ જેટલા મળીને ૧,૪૦૦ જેટલા મકાનો આવેલા છે. જેતે સમયે અમદાવાદ શહેરની આસપાસ વસવાટ કરવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ આ રબારી વસાહતોની સ્થાપના કરાવી હતી.
જોકે આજે બીજી-ત્રીજી પેઢી વસવાટ કરી રહી હોવા છતાંય તેઓને હજુ સુધી માલિકી હક મળ્યા નથી. મકાન, પ્લોટ હજુ સરકારના નામે બોલાઇ રહ્યા છે. માલધારીઓની માંગણી છેકે રબારી વસાહતોનો પ્રશ્ન સરકારે ઉકેલવામાં રસ દાખવવો જોઇએ. અને સત્વરે આનો નિવેડો લાવવો જોઇએ.
આ અંગે માલધારી ફાઉન્ડેશનના પ્રમુખ ધનાભાઇ દેસાઇ(ગુંજાળા)ના જણાવ્યા મુજબ ગઇકાલે રબારી સમાજના શૈક્ષણિક સંકુલના ભુમિ પૂજન પ્રસંગે મુખ્યમંત્રીની હાજરીમાં રબારી સમાજના આગેવાન અને રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઇએ મંચ પરથી રબારી વસાહતોનો પ્રશ્ન ઉકેલવા માટે જે રજૂઆત કરી તે યોગ્ય છે. ગીર-ગઢડામાં જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓને એસ.ટી.કેટેગરીનો દરજ્જો આપવાની પણ તેમની માંગ યોગ્ય છે. સમગ્ર સમાજ તેમની આ માંગણીઓ પ્રત્યે સમર્થન આપે છે.
અમદાવાદમાં લાખોની સંખ્યામાં વસતા માલધારીઓએ તેમની આ રજૂઆતને હાથોહાથ લીધી છે. બીરદાવી છે. સરકારે રબારી સમાજના વસવાટના આ પ્રશ્ન બાબતે સત્વરે જરૂરી પગલા લેવા જોઇએ તેવી પણ માંગણી છે. રબારી વસાહતોમાં વર્ષોથી રહેતા માલધારીઓને મકાન પર લોન મળી શકતી નથી. તેઓને માલિકી હક આપવામાં આવે તે જરૂરી છે.અત્યાર સુધીમાં સરકારે ફાળવેલા આ મકાન, પ્લોટની કિંમત કરતા વધુની રકમ તેઓએ ભાડા પેટે ચુકવી દીધી છે.
નોંધપાત્ર છેકે નરોડામાં પણ રબારી વસાહત બનાવવાની હતી. તે માટેના પાયા પણ જેતે સમયે ખોદાઇ ચૂક્યા હતા પરંતુ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના નિધન બાદ આ આખો પ્રોજેક્ટ પડતો મુકાયો હતો.