Get The App

૧૧ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લાર્કની ભરતી પ્રક્રિયા તુરંત અટકાવવા માગ

IBPSએ 'સ્થાનિક ભાષા નિપુણતા ટેસ્ટ' લીધા વગર જ ૭,૮૦૦ ઉમેદવારોની ભરતી કરી દીધી કરી હોવાનો આક્ષેપ

Updated: May 6th, 2022

GS TEAM

Google News
Google News
૧૧ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લાર્કની ભરતી પ્રક્રિયા તુરંત અટકાવવા માગ 1 - image


વડોદરા : રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લાર્કની ભરતી કરતી કેન્દ્રના નાણા મંત્રાલયની એજન્સી 'ધ ઇન્સ્ટિટયૂટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન' (આઇબીપીએસ) દ્વારા તાજેતરમાં કરાયેલી ભરતીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જેમ જ 'સ્થાનિક ભાષા નિપુણતા' ટેસ્ટની અવગણના કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાથી આ ભરતી પ્રક્રિયાને તુરંત અટકાવી દેવામાં આવે તેવી માગ સાથેનો એક પત્ર વડાપ્રધાનને લખવામાં આવ્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પણ સ્થાનિક ભાષા નિપુણતા ટેસ્ટની અવગણના કરીને ગેરકાયદે ભરતી કરાતી હોવાનુ બહાર લાવનાર બેંક કર્મચારી યુનિયનના પૂર્વ નેતા ભરતસિંહ ચૌહાણે જ વડાપ્રધાનને પત્ર લખીને આઇબીપીએસમાં ચાલતી ગેરરીતિની જાણકારી આપી છે. ભરતસિંહ ચૌહાણનું કહેવુ છે કે 'બેંકિંગ ક્ષેત્ર હવે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યુ છે. બેંકમાં રોજબરોજના કામ માટે આવતા ગ્રાહકોને મુશ્કેલી ના પડે તે માટે ફ્રન્ટલાઇન સ્ટાફ એટલે કે ક્લેરિકલ સ્ટાફને જે તે રાજ્યની સ્થાનિક ભાષા ફરજિયાત આવડવી જોઇએ એવો આરબીઆઇએ નિયમ બનાવ્યો છે અને આ માટે બેન્ક સ્ટાફની ભરતી કરતી એજન્સીઓ દ્વારા તેનો ટેસ્ટ પણ લેવામાં આવે છે. થોડા સમય પહેલા ગુજરાતમાં એસબીઆઇ-અમદાવાદ સર્કલમાં  સ્ટાફની ભરતી કરવામાં આવી હતી આ ભરતીમાં સ્થાનિક ભાષા નિપુણતા ટેસ્ટની અવગણના કરવામાં આવી અને જે ઉમેદવારો ભરતી કરાયા તેમાંથી મોટાભાગનાને ગુજરાતી લખતા,વાંચતા કે બોલતા આવડતુ નથી.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્ટાફની ભરતી માટે તેમનું પોતાનુ બોર્ડ છે જ્યારે દેશની અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં ભરતીની પ્રક્રિયા આઇબીપીએસ કરે છે આઇબીપીએસ દ્વારા તાજેતરમાં ૧૧ બેંકોમાં ખાલી પડેલી ૭,૮૦૦ જગ્યા માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી અને એપ્રિલ ૨૦૨૨માં આ પ્રક્રિયા પૂર્ણ કરીને જે તે બેન્કોની માગણી પ્રમાણે સ્ટાફ મોકલી આપવામાં આવ્યો છે. આઇબીપીએસની આ ભરતી પ્રક્રિયામાં 'સ્થાનિક ભાષા નિપુણતા ટેસ્ટ' લેવામાં જ નથી આવ્યો તેના બદલે આ જવાબદારી બેંકો પર ઢોળી દીધી છે. આરબીઆઇના નિયમ પ્રમાણે આ ગેરકાયદે છે એટલે અમારી માગ છે કે આ ભરતી પ્રક્રિયા તુરંત અટકાવી દેવી જોઇએ'

૧૧ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લાર્કની ભરતી પ્રક્રિયા તુરંત અટકાવવા માગ 2 - image

ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને વિશેષ રૃપે અન્યાય કરાય છે

બીજા રાજ્યો સ્થાનિક ભાષા પ્રત્યે ઝનુની હોવાથી ત્યાં અન્ય ભાષી ઉમેદવારોની ભરતીની હિંમત બેંકો કરતી નથી, બેંકો સ્થાનિક ભાષાનો ફકરો લખાવીને ઉમેદવારને પાસ કરી દે છે


'નિયમ વિરૃધ્ધ જઇને બેંકો સ્થાનિક ભાષા નિપુણતા ટેસ્ટમાં ફેઇલ ઉમેદવારોને ત્રણ થી છ મહિનામાં સ્થાનિક ભાષા શીખી લેવાની સૂચના આપીને શરતી ભરતી કરી લે છે. જે સદંતર કાયદા વિરૃધ્ધ છે. આરબીઆઇએ બેંકોને આવી કોઇ સત્તા આપી નથી. શરતી ભરતી બાદ બેંકો ઉમેદવાર પાસે એકાદ ફકરો સ્થાનિક ભાષામાં લખવા આપીને અને સ્થાનિક ભાષાઓની હેડ લાઇન વંચાવીને 'સ્થાનિક ભાષા નિપુણતા ટેસ્ટ'માં પાસ કરી દે છે. અમે વડાપ્રધાન સમક્ષ માગ કરી છે કે બેંકોમાં ચાલતો આ પ્રકારનો ગેરવહિવટ બંધ કરાવીને બેન્ક સ્ટાફ ભરતી માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે' એમ ભરતસિંહ ચૌહાણે કહ્યું હતું.

તેઓએ ઉમેર્યુ હતુ કે 'અમારા ધ્યાન પર આવ્યુ છે કે બેંક સ્ટાફ ભરતી પ્રક્રિયામાં સ્થાનિક ભાષા નિપુણતા ટેસ્ટની અવગણના ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમા ભરતી વખતે જ થાય છે. અન્ય રાજ્યો પોતાની સ્થાનિક ભાષા અંગે ઝનુની  છે એટલે બેંકો ત્યાં હિમ્મત નથી કરતી જેમ કે તાજેતરમાં ભરતી વખતે જમ્મુ કાશ્મિરમાં તમામ ૨૬ ઉમેદવારો ઉર્દુ જાણકાર મુકાયા તો તમિલનાડુ અને કર્ણાટકમાં પણ સ્થાનિક ઉમેદવારોને જ મહત્વ આપવામાં આવ્યુ'

શું છે આરબીઆઇનો નિયમ ?

'આરબીઆઇએ બેન્ક સ્ટાફની ભરતી માટે નક્કી કરેલા નિયમોનું દરેક બેન્કો અથવા તો સ્ટાફની ભરતી કરતી એજન્સીઓએ ફરજિયાત પાલન કરવુ પડે છે પરંતુ એવુ થથુ નથી' એવુ કહેતા ભરતસિંહ ચૌહાણ ઉમેરે છે કે આરબીઆઇનો કાયદો છે કે 'ઉમેદવાર ફરજિયાત પણે જે તે રાજ્યની સ્થાનિક ભાષામાં નિપૂણ હોવો જોઇએ (ઉમેદવારને સ્થાનિક ભાષા લખતા,વાંચતા અને બોલતા આવડવી જોઇએ) આ લાયકાત ધરાવતો ઉમેદવાર જ બેન્ક સ્ટાફની ભરતી માટેની પરીક્ષા માટે લાયક છે અને ઉમેદવારો જો સ્થાનિક ભાષા નિપુણતા ટેસ્ટમાં નિષ્ફળ જાય તો તે ઉમેદવાર તરીકે લાયક નથી'

Tags :