વડોદરાઃ ક્લાઈમેટ ચેન્જની વડોદરા પરની અસરો અંગે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી, પોલીટેકનિક , હોમસાયન્સ અને સોશિયલ વર્ક ફેકલ્ટીના સંશોધકોએ કરેલા એક અભ્યાસમાં એવુ તારણ નીકળ્યુ છે કે, મે મહિનામાં ગરમીની રીતે ભયજનક કહી શકાય(૪૧ થી ૫૪ ડિગ્રી)તેવા દિવસોની સંખ્યામાં ૩૪ ટકાનો અને જુન મહિનામાં ૫૬ ટકાનો વધારો થયો છે.
સંશોધકોએ આ માટે ૧૯૬૯ થી ૧૯૭૮ વચ્ચેના ના દસ વર્ષના તાપમાનના રેકોર્ડ અને અને ૨૦૦૯થી ૨૦૧૮ વચ્ચેના તાપમાનના રેકોર્ડની સરખામણી કરી હતી.તેમનુ કહેવુ છે કે, હીટ ઈન્ડેક્સ પ્રમાણે જોવામાં આવે તો ૧૯૬૯ થી ૧૯૭૮ના દાયકામાં મે મહિનામાં ૪૧ થી ૫૪ ડિગ્રી વચ્ચે તાપમાન રહ્યુ હોય તેવા સરેરાશ દિવસોની સંખ્યા ૧૬.૯ હતી.જ્યારે જુન મહિનામાં સરેરાશ ૧૪.૪ દિવસો એવા હતા જ્યારે ૪૧ થી ૫૪ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયુ હતુ.
જ્યારે ૨૦૦૯ થી ૨૦૧૮ વચ્ચેના દસ વર્ષના તાપમાનનો રેકોર્ડ બતાવે છે કે, મે મહિનામાં ૪૧ થી ૫૪ ડિગ્રી વચ્ચે તાપમાન હોય તેવા સરેરાશ ૨૨.૭ દિવસ હતા.જ્યારે જુન મહિનામાં ૨૨.૬ દિવસ એવા હતા જ્યારે તાપમાન ૪૧ થી ૫૪ ડિગ્રી નોંધાયુ હતુ.
ઉનાળામાં શહેરીજનોને હીટવેવનો સામનો પણ કરવો પડતો હોય છે.જેની સંખ્યામાં પણ ૧૯૯૯ બાદ વધારો દેખાયો છે.૧૯૬૯ થી ૧૯૯૮ દરમિયાનના ૩૦ વર્ષમાં ૪૦ ડિગ્રીથી વધારે તાપમાન હોય તેવા ૫૭ હીટવેવ શહેરમાં નોંધાયા અને એ પછીના ૨૦ જ વર્ષમાં ૪૦ ડિગ્રીથી વધારે તાપમાન રહ્યુ હોય તેવા ૫૩ હીટવેવ નોંધાયા હતા.ક્લાઈમેટ ચેન્જની અસરની જાણકારી મેળવવા માટે શહેરના ચાર ઝોન બનાવીને કુલ મળીને ૧૦૦૦૦ શહેરજનો પાસેથી પણ વિવિધ જાણકારી મેળવવામાં આવી હતી.
૭૨ ટકાએ ૨૦૧૬ બાદ એસી અથવા કૂલર ખરીદયા
૬૬ ટકા શહેરીજનો સરેરાશ ૭ થી ૧૦ કલાક કૂલર અથવા એસી ચલાવે છે
સંશોધનના ભાગરુપે શહેરમાં એસી અથવા કૂલરનો વપરાશ થતો હોય તેવા ૭૩૬ પરિવારો પાસેથી જાણકારી મેળવવામાં આવી હતી.જેમાં જેમાં ૬૬.૬૮ ટકાએ કહ્યુ હતુ કે, અમે સરેરાશ ૭ થી ૧૦ કલાક કુલર કે એસી વાપરીએ છે.જ્યારે ૧૬ ટકા પરિવારોનુ કહેવુ હતુ કે, અમારો રોજનો વપરાશ ૧૧ થી ૨૪ કલાકનો છે.૧૬ ટકા પરિવારોનુ કહેવુ હતુ કે અમે રોજ સરેરાશ ૩ થી ૬ કલાક કૂલર કે એસી ચલાવીએ છે.
આ પરિવારોને તેમણે એસી કે કૂલર ક્યારે ખરીદયા તે પણ પૂછવામાં આવ્યુ હતુ અને તેમાં જાણવા મળ્યુ હતુ કે, ૭૨ ટકા પરિવારોએ ૨૦૧૬ બાદ તેમજ ૨૦ ટકા પરિવારોએ ૨૦૦૭ થી ૨૦૧૦ની વચ્ચે એસી અથવા કુલરની ખરીદી કરી છે.૭ ટકા પરિવારો એવા હતા જેમણે ૨૦૧૨ થી ૨૦૧૫ની વચ્ચે ઘરમાં એસી અથવા કુલર વસાવ્યા છે.
ગરમીના દિવસોમાં ૬૧.૫ ટકા લોકો બપોરે બહાર નીકળવાનું ટાળે છે
વધતી જતી ગરમીનો સામનો કેવી રીતે કરવામાં આવે છે તે અંગેના સવાલો ૧૦૦૦૦ શહેરીજનોને પૂછવામાં આવ્યા હતા અને તેમાં તેમણે આ પ્રકારના જવાબો આપ્યા હતા.
--માત્ર ૨.૮૨ ટકા લોકોનુ કહેવુ છે કે અમે ગરમી વધે તે પહેલા બહારના કામ પૂરા કરીએ છે
--૬૧.૫ ટકાએ કહ્યુ કે, ગરમી વધ્યા બાદ એટલે કે બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનુ ટાળીએ છે.
--૫૪.૮૨ ટકા વડોદરાવાસીઓએ કહ્યુ હતુ કે, ગરમીમાં બહારનુ ખાવાનુ પસંદ નથી કરતા
--માત્ર ૧૮.૪૫ ટકાએ કહ્યુ હતુ કે, અમે ગરમીમાં ફ્રેશ ફૂડ ખાઈએ છે અને વાસી ખોરાક નથી ખાતા
--૧૩.૫૪ ટકા નાગરિકોનુ કહેવુ હતુ કે અમે ગરમીના દિવસોમાં પ્રવાહી ખોરાક વધારે લઈએ છે


