વડોદરા,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર
વડોદરા શહેર નજીક પોર રમણ ગામડી ખાતે નોકરના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પત્ની તથા દિકરીના નામે જમીનનું બાનાખત કરી માથાભારે વ્યક્તિઓને કરાર કરી જમીનનો કબજો સોંપી દઈ ફરિયાદી સાથે છેતરપિંડી આચરવામાં મામલે કલેકટરના આદેશથી લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો. આ મામલે અગાઉ ચાર આરોપીઓની ધરપકડ બાદ આ ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા મુખ્ય આરોપી એ પોલીસની પોતાની આગોતરા જામીન અરજી અત્રેની સેસન્સ અદાલતમાં રજુ કરતા અદાલતે તેને નામંજુર કરવાનો હુકમ કર્યો છે.
પોર રમણ ગામડીના ખેડુત મહેન્દ્રભાઇ કાન્તીભાઇ પટેલે વર્ષ અગાઉ કલેકટર સમક્ષ અરજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ જમીન રમણગામડીના જયંતીભાઇજેસંગભાઇ પટેલ અને અન્ય 5 જણાના નામે હતી.જે બીનખેતીમાં ફેરવાયા બાદ મહેન્દ્ર પટેલને 1લી જુન, 2019માં વેચી હતી. મહેન્દ્ર પટેલને જમીન ખરીદ્યાના 1 માસ પછી રમણગામડીના રાજુ મણિભાઇ પટેલે જણાવ્યું હતું કે,આ જમીન અમદાવાદના ભગુભાઇ માવજીભાઇ પટેલેએ રાખી છે અને તેમની પાસે તેનું લખાણ પણ છે. ભગુભાઇ માવજી પટેલ તથા તેના માણસો નારણ રામા પ્રજાપતિ (રહે, ધોળકા,) રાજુ મણિ પટેલ (રમણગામડી) મણિભાઇ રણછોડ ડામોર (રહે, વડોદરા) તથા અજીત વાઘેલા (પોર) અને રહીમ ગુલામહુસેન સિંધી તથા ઇમરાન રહિમ સિંધી અને ઇરશાદ રહિમ સીંધી (રહે, તાંદલજા)એ જમીન પચાવી પાડી ત્યાં ઓરડી બનાવી હતી. આગોતરા જામીન અરજીની સુનાવણી યોજાતા બંને પક્ષોની દલીલો બાદ અદાલતે નોધ્યું હતું કે, આ ગુનામાં અરજદાર આરોપીએ નોકર નારાયણ પ્રજાપતિ પાસે રદ થઇ શકે તેવું કુલમુખત્યાર પત્ર લખાવી તેના આધારે પોતાની પત્ની શાંતાબેન તથા દીકરી નયનાબેનનું બાનાખત કરાવ્યું હતું. જેથી ગુનો આચરવામાં આરોપીએ પ્રથમથી જ મુખ્ય ભૂમિકા ભજવી છે. પોતાનો હક્ક ન હોવા છતાં રહીમભાઈ સિંધીને ભાડા કરાર કરી આપ્યો હતો. આ ઉપરાંત અજીતસિંહ વાઘેલા, મણિલાલ ડામોર તથા કિશનભાઇ રાઠવાને ખેતી કામનો સમજૂતી કરાર કરી આપ્યો હતો. જેના નામે નોટરાઇઝ ધ પાવર ઓફ એટર્ની છે તે આરોપી નારણભાઈ પ્રજાપતિ અરજદાર આરોપીને ત્યાં મહિને 8 હજાર પગારથી નોકરી કરતો હતો. તે જોતાં કિંમતી જમીન નો પાવર લેવાની તેની કોઈ આર્થિક ક્ષમતા નથી. નારણભાઈ ની કબૂલાતના આધારે આરોપીએ પોતાના અંગત ફાયદા માટે પાવર ઓફ એટર્ની લખાવી હતી. અરજદાર આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકે ગુના નોંધાયા હોય ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.
અરજદાર આરોપીએ ફરિયાદીની જમીન ગેરકાયદેસર પચાવી પાડી ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. જેથી હાલના તબક્કે આગોતરા જામીન નામંજૂર કરવા ફરિયાદી પક્ષના વકીલે દલીલો કરી હતી.


