Get The App

પહેલા દિવસે વડોદરા શહેરની ૭૯ સ્કૂલોના ૨૦૦૦૦ વિદ્યાર્થીઓને રસી મુકવાનો ટાર્ગેટ

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
પહેલા દિવસે વડોદરા શહેરની ૭૯ સ્કૂલોના ૨૦૦૦૦ વિદ્યાર્થીઓને રસી મુકવાનો ટાર્ગેટ 1 - image

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં ૩ જાન્યુઆરી, સોમવારથી ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવાના અભિયાનનો પ્રારંભ થવાનો છે.

કુલ મળીને વડોદરા શહેર-જિલ્લાની ૪૫૦ સ્કૂલોમાં ધો.૯ થી ૧૨માં ભણતા દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે.જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ અને શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વડોદરા કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ સ્કૂલોમાં જઈને રસી આપશે.

મળતી વિગતો પ્રમાણે સ્કૂલોને રસીકરણ માટે અલગ-અલગ તારીખો ફાળવવામાં આવી છે.વડોદરા શહેરમાં આવતીકાલે પહેલા દિવસે ૭૯ સ્કૂલોના ૨૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને રસી આપવાનો ટાર્ગેટ છે.સવારે ૯-૩૦ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી સ્કૂલોમાં રસીકરણ હાથ ધરવામાં આવશે.

દરમિયાન ડીઈઓ કચેરીએ સ્કૂલોને ૧૦૦ ટકા રસીકરણ  માટે ટાર્ગેટ આપ્યો હોવાથી આચાર્યો દ્વારા ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને ફોન કરીને જે-તે તારીખે સ્કૂલમાં રસી લેવા માટે હાજર રહેવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

કેટલીક સ્કૂલો ઝૂમ એપ થકી વાલીઓની ઓનલાઈન મિટિંગ બોલાવીને પણ રસીકરણ માટે વિદ્યાર્થીઓને હાજર રાખવા માટે અપીલ કરી રહી છે.સ્કૂલોએ શિક્ષકોેને પણ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ માટે કામે લગાડયા છે.સંખ્યાબંધ સ્કૂલોએ વોટસએપ ગૂ્રપમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને રસી લેવા માટે નિશ્ચિત તારીખે હાજર રહેવા જણાવ્યુ છે.

રસીકરણ અને એકમ કસોટી એક સાથે હોવાથી કેટલીક સ્કૂલો મૂંઝવણમાં 

સ્કૂલોમાં એક તરફ ૩ જાન્યુઆરીથી રસીકરણ થશે અને ચાર દિવસ સુધી ચાલશે ત્યારે બીજી તરફ સ્કૂલોમાં ૬ અને ૭ જાન્યુઆરી એકમ કસોટી પણ લેવામાં આવનાર છે.આમ જે સ્કૂલોને રસીરણ માટે આ તારીખો ફાળવવામાં આવી છે તે સ્કૂલો મૂંઝવણમાં છે.કારણકે સ્કૂલોને ઓફલાઈન પરીક્ષા લેવાની સૂચના અપાઈ છે.જે સ્કૂલોમાં એ દિવસે રસીકરણ છે તે સ્કૂલો માટે રસીકરણની સાથે ઓફલાઈન એકમ કસોટી લેવી લગભગ અશક્ય કામ છે.આ સંજોગોમાં સ્કૂલોએ એકમ કસોટીના સમયમાં ફેરફાર કરવો પડશે તે નિશ્ચિત છે અથવા તો રસીકરણની તારીખ બદલાવી પડશે.

પોલીટેકનિકના વિદ્યાર્થીઓનુ પણ રસીકરણ કરાશે

૧૫ થી ૧૮ વર્ષના કિશોરોનુ રસીકરણ કરવાનુ હોવાથી એમ.એસ.યુનિવર્સિટીની અને ખાનગી કોલેજોની પોલીટેકનિકના વિદ્યાર્થીઓને પણ આ અભિયાનમાં આવરી લેવાયા છે.કારણકે પોલીટેકનિકમાં પણ ધો.૧૦ પછી પ્રવેશ અપાતો હોય છે.એટલે તેમાં ભણતા સેકંડો વિદ્યાર્થીઓ ૧૫ થી ૧૮ વર્ષની વયના છે.યુનિવર્સિટીની પોલીટેકનિકના વિદ્યાર્થીઓને ૬ અને ૭ જાન્યુઆરીએ સવારથી નવથી બપોરના બે દરમિયાન પોલીટેકનિક કોલેજમાં રસી આપવામાં આવશે.