Gujarat

૧૯૯૭ની હત્યામાં ડી-લિસ્ટ રજૂ ન થતાં PI સામે કન્ટેમ્પ્ટ

By GS Team
17 Nov 20211 min read
This article was originally published on 17 Nov 2021
૧૯૯૭ની હત્યામાં ડી-લિસ્ટ રજૂ ન થતાં PI સામે કન્ટેમ્પ્ટ

અમદાવાદ, બુધવાર

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વર્ષ ૧૯૯૭માં નોંધાયેલા હત્યાના કેસમાં પોલીસ ઇન્સપેક્ટરને કોર્ટની વારંવાર તાકીદ છતાં ડી-લિસ્ટ (દસ્તાવેજી પુરાવાઓનું લિસ્ટ) રજૂ ન કરતા કોર્ટે આ તપાસ અધિકારી સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ જારી કરી એ.સી.પી.ને નોટિસની બજવણી કરવા નિર્દેશ કર્યો છે.


આ કેસની વિગત એવી છે કે સુરેન્દ્રનગરમાં આવેલી એક જમીનના વિવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં ૬-૧૧-૧૯૯૭ના રોજ રણજીત નામની વ્યક્તિની હત્યા થઇ હતી. સમયાંતરે આ કેસના મુખ્ય આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હતા પરંતુ હત્યામાં મદદગારીના આરોપી બાપાલાલ કનુભા પરમાર, ધનશ્યામ કનુભા ઝાલા અને મહેન્દ્ર કાનજીભાઇ પટેલ અમુક સમય બાદ ઝડપાયા હતા અને તેમનીસામે સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

જો કે આ દરમિયાન તપાસ અધિકારી પી.આઇ. દ્વારા ડી-લિસ્ટ રજૂ ન થતાં કોર્ટ દ્વારા તેની વારંવાર તાકીદ કરવામાં આવી હતી. જેથી કોર્ટે ધ્યાને લીધું હતું કે ડી-લિસ્ટ રજૂ ન થતાં પક્ષકારોને ધક્કા ખાવા પડે છે અને તમામ પક્ષે સમય, શક્તિ અને નાણાનો વ્યય થઇ રહ્યો છે. જેથી પી.આઇ. સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ જારી કરી આસિસ્ટન્ટ કમિશનરને નોટિસ બજવવાનો નિર્દેશ કરાયો છે.