આદિવાસી લડત સમિતીને હાજર ન રખાતાં વિરોધ
આદિવાસી MP-MLAની બેઠકમાં બબાલ ખોટા પ્રમાણપત્ર આધારે લાભ મેળવાય છે
અમદાવાદ : આદિવાસી પ્રમાણપત્ર ના સુધારા મુદ્દે ગાંધીનગરમાં આયોજીત બેઠકમાં બબાલ મચી હતી. એટલું જ નહીં, આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્ર મેળવી લોકો લાભ મેળવી રહ્યા છે તેવો આક્ષેપ કરી કોંગ્રેસના ધારાસભ્ય અશ્ચિન કોટવાલે બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. આદિવાસી પ્રમાણપત્રના સુધારા મામલે ગાંધીનગરમાં મંત્રી નરેશ પટેલના વડપણ હેઠળ આદિવાસી ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળી હતી.
આ બેઠકમાં ખોટા પ્રમાણપત્રોના મુદદે ગાંધીનગરમાં 29 દિવસ સુધી લડત લડનારાં આદિવાસી લડત સમિતીને આમંત્રણ અપાયુ ન હતું જેથી ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્ચિન કોટવાલે વિરોધ નોંધાવીને બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. અશ્વિન કોટવાલે એવો આક્ષેપ કર્યો કે, જે તે વખતે આંદોલન ચાલી રહ્યુ હતું તે વખતે સરકારે સમાધાન કર્યા હતાં અને લડત સમિતીનો ય અભિપ્રાય લેવા નક્કી કર્યુ હતું.
આજે આદિવાસી પ્રમાણપત્રની ચકાસણી માટે ય આઠ મહિના જેટલો સમય વીતી જાય છે જેથી આદિવાસી યુવાઓને નોકરીમાં ભરતી થાય બાદ ઘણી મુશ્કેલી પડી રહી છે. રાઠવા અને હળપતિને પ્રમાણપત્ર આપવામાં ઘણો વિલંબ થઇ રહ્યો છે. આ કારણોસર બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો હતો.


