Get The App

અમદાવાદના તૂટેલા રસ્તાઓ મામલે કોંગ્રેસનું મ્યુનિ.કચેરીએ હલ્લાબોલ

કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા કોર્પોરેટરો સામે પક્ષ કાર્યવાહી કરશે

Updated: Feb 4th, 2022

GS TEAM

Google News
Google News
અમદાવાદના તૂટેલા રસ્તાઓ મામલે કોંગ્રેસનું મ્યુનિ.કચેરીએ હલ્લાબોલ 1 - image

     

  અમદાવાદ,ગુરુવાર,3 ફેબ્રુ,2022

અમદાવાદ શહેરના રોડ મામલે હાઈકોર્ટ દ્વારા ઝડપથી રોડ રીસરફેસ કરવા આદેશ અપાયો છે.આમ છતાં રોડની કામગીરી ૪૦ ટકા સુધી કરાઈ હોવાથી વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કચેરીએ દેખાવ-સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરી મેયરને તાકીદે રોડની કામગીરી પુરી કરવા આવેદનપત્ર અપાયુ હતું.કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા કોર્પોરેટરો સામે પક્ષ તરફથી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અમદાવાદ શહેરમાં ગત વર્ષે મંજુર કરવામાં આવેલા ૬૬૬ રોડના કામ પૈકી શાસકપક્ષ ૩૫૦ કરોડના રોડના કામો નાણાંકીય વર્ષ પુરો થવા આડે એક મહિનાનો સમય બાકી હોવા છતાં પુરા કરાવી શકયુ નથી.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો મ્યુનિ.કચેરીએ પહોંચ્યા હતા.જયાં મેયર,કમિશનર અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરાતા મ્યુનિ.કચેરીના તમામ દરવાજાઓ જડબેસલાક બંધ કરી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નેતાએ મ્યુનિ.તરફથી ૧૨ કન્સલટન્ટની નિમણૂંક કરવા મંજુર કરવામાં આવેલી દરખાસ્ત મામલે મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપતા કહ્યુ,૧૨ કન્સલ્ટન્ટની નિમણૂંક કરાયા બાદ પણ જો શહેરના રસ્તા આગામી વર્ષે તુટશે તો કોંગ્રેસ લોકોની વચ્ચે જઈ જનઆંદોલન કરશે.૩૧ માર્ચ પહેલા શહેરમાં ગત વર્ષે મંજુર કરવામાં આવેલા રોડના કામ પુરા કરવા મેયર સમક્ષ રજુઆત કરાઈ હતી.મ્યુનિસિપલ કોંગ્રેસ તરફથી તુટેલા રોડ મામલે મેયરને આવેદનપત્ર આપવા અંગે તમામ ૨૪ કોર્પોરેટરોને કાર્યક્રમમાં હાજર રહેવા જાણ કરાઈ હતી.આમ છતાં કાર્યક્રમમાં હાજર નહીં રહેનારા કોર્પોરેટરો સામે આગામી દિવસોમાં પક્ષની નેતાગીરી શિક્ષાત્મક કાર્યવાહી કરશે.