કોંગી આગેવાન ભરતસિંહ સોલંકીએ મનીષા નામની મહિલાના ખાતામાં રૃ.૩ લાખ ડોલર ટ્રાન્સફર કર્યા
કોઇ પણ મિલકત ખરીદવા કે ટ્રાન્સફર નહી કરવા માટે પતિ ભરતસિંહને પત્ની રેશ્માનીે જાહેર નોટિસ
Updated: Aug 4th, 2021
વડોદરા : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો છે. રેશ્મા ભરતસિંહ સોલંકીએ એક જાહેર નોટિસ આપી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભરતસિંહ સોલંકીએ મનીષા નામની મહિલા અને અન્ય કેટલા વ્યક્તિઓના ખાતામાં ૩ લાખ ડોલર ટ્રાન્સફર કરી દીધા છે.
રેશ્મા ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસમા અનેક આક્ષેપો કર્યા છે. રેશ્માનો આક્ષેપ ઓવે છે કે માર અને ભરતસિંહના નામે ભારતમાં અને અમેરિકામાં અનેક મિલકતો આવેલી છે. પતિ ભરતસિંહ સાથે વિવાદ થયા બાદ બોરસદ ખાતેના ઘરમાંથી મને કાઢી મુકવામાં આવેલી અને જીવનું જોખમ હોવાથી હું અમેરિકા આવી ગઇ છુ. અહી બેંક ઓફ અમેરિકામાં મારૃ પર્સનલ અને બિઝનેસ એકાઉન્ટ આવેલુ છે અને આ એકાઉન્ટમાંથી ભરતસિંહ સોલંકીએ અમારી જાણ બહાર મનીષા તથા અન્ય ઇસમોના ખાતામાં ૩ લાખ ડોલર (અંદાજે સવા બે કરોડ રૃપિયા) ટ્રાન્સફર કરી દીધા છે. આ નાણા પરત નહી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત મારા તથા ભરતસિંહના નામે જે સ્થાવર અને જંગમ મિલકતો છે તે મિલકતો કોઇ પણ વ્યક્તિએ સીધી કે આડકતરી રીતે ખરીદવી નહી અને જો કોઇએ વેચાણે લીધી હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગત જુલાઇ મહિનામાં ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની રેશ્મા વિરૃધ્ધ જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાવી હતી કે મારી પત્ની રેશ્મા પટેલ મારા કહ્યામાં નથી. ચાર વર્ષથી અમારી સાથે રહેતા નથી. જેના જવાબમાં રેશ્મા ભરતસિંહ સોલંકીએ પણ જાહેર નોટિસ મારફતે ખુલાસો કર્યો હતો કે તેઓ (ભરતસિંહ) કોરોનામાં ખુબ બીમાર હતા ત્યારે મે તેમની ખુબ સેવા કરીને તેઓને પુનઃજીવન આપ્યુ છે. હવે સાજા થયા બાદ છૂટાછેડા આપવા માટે દબાણ કરી રહ્યા છે અને મને ઘરમાંથી કાઢી મુકી છે.