અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર
ઓઢવમાં ઇન્દિરાનગર ઘરવિહાણા છાપરા ખાતે સરકારે ઝૂંપડા ત્યાં પાકા મકાન બનાવીને આજે સોમવારે મ્યુખ્યમંત્રીની હાજરીમાં લાભાર્થીઓને મકાનો ફાળવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સ્કીમમાં કેટલાક સાચા લાભાર્થીઓ રહી ગયા હોવાનું અને સેટિંગવાળા લોકો યેનકેન પ્રકારે પાકુ મકાન મેળવવાના લાભાર્થી બનવામાં સફળ રહ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.
ઓઢવમાં આ મામલે આજે લોકોમાં ભારે ચર્ચા જાગી હતી. નરેશ પરમાર નામના એક વ્યક્તિએ પોતે સાચો લાભાર્થી હોવાના દાવા સાથે ભુખ હડતાળ પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ઝૂંપડા હોય ત્યાં મકાન આપવાની સરકારી યોજના સારી છે પરંતુ સાચા લાભાર્થીઓને અન્યાય થઇ રહ્યો હોવાનું અને બીજા લોકો લાભ લઇ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
આ અંગે કોંગ્રેસના આગેવાન કપિલ દેસાઇએ સમગ્ર મામલાની ન્યાયિક તપાસ કરાવવાની માંગણી કરી છે. ઝૂંપડા ત્યાં મકાનની યોજનામાં ગેરરીતિઓ ચાલી રહી હોવાની ફરિયાદો સામે આવતા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને સાચા લાભાર્થીને મકાન આપવામાં આવે તેમજ ખોટી રીતે મકાન મેળવનાર સામે પગલા ભરવામાં આવે તેવી લોકોની માંગણી છે.


