૧૧ લાખની સામે ૪૨ લાખની ઉઘરાણી કરતા બે વ્યાજખોર સામે ફરિયાદ
માસિક ૧૨ ટકાના વ્યાજે ધંધા માટે રૃપિયા લેનાર વેપારી વ્યાજખોરની ચુંગલમાં ફસાયો
Updated: Jan 17th, 2023
મૂળ યુ.પી.ના અને હાલમાં માણેજા ક્રોસિંગ પાસે કૃષ્ણ કોમ્પલેક્સમાં રહેતા કુમારસિંહ શ્રીરામ પરવેશસિંહ રાજપૂત કપડા સિલાઇ તથા ડીપ ક્લિનીંગનો ધંધો કરે છે.મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું અગાઉ જ ેકંપનીમાં કામ કરતો હતો.તે કંપનીમાં હાઉસ કિપીંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા નિમેષ પટેલ (રહે.કંડારી ગામ) સાથે ઓળખાણ થઇ હતી.મારે ધંધા માટે પૈસાની જરૃરિયાત પડતા મેં નિમેષ પાસેથી પૈસાની માંગણી કરી હતી.વર્ષ - ૨૦૨૨ ના શરૃઆતમાં નિમેષ પાસેથી સૌ પ્રથમ દોઢ લાખ ૧૨ ટકાના માસિક વ્યાજે લીધા હતા.ત્યારબાદ મને જ્યારે રૃપિયાની જરૃર પડતા મેં નિમેષ પાસથી કુલ રૃપિયા ૬.૫૦ લાખ લીધા હતા.જે તમામ રૃપિયા જુલાઇ - ૨૦૨૨ સુધીમાં મેં નિમેષને પરત આપી દીધા હતા.તેમ છતાંય મારી પાસે વધુ ૨૦ લાખની માંગણી કરે છે.અને ફોન કરી ધમકી આપે છે.મારી પાસેથી લીધેલા છ ચેક પણ મને પરત આપતો નથી.
મેં ધંધા માટે અમારા ફ્લેટમાં જ રહેતા હિરેનભાઇ શાહ પાસેથી પાંચ લાખ ૧૨ ટકાના વ્યાજે લીધા હતા.તે તમામ રૃપિયા મેં વ્યાજ સહિત પરત આપી દીધા હતા.તેમ છતાંય હિરેન શાહ મારી પાસેથી હજી બાવીસ લાખ માંગે છે.અને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે.