આરટીઇ એક્ટ હેઠળ બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૃ
શાળાની પુનઃ પસંદગી માટે વિદ્યાર્થીઓને વધુ એક તક જિલ્લામાં ૧૪૫૪ બાળકોને બીજા રાઉન્ડમાં પ્રવેશ
અપાશે
ગાંધીનગર:
આરટીઇ એક્ટ હેઠળ પ્રથમ રાઉન્ડ પુરો થઇ ગયો છે. ગાંધીનગર જિલ્લામાં ૧૨૯૪ જેટલાં
વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે પૈકી ઘણા
વિદ્યાર્થીઓને પસંદગીની શાળા મળી નથી તો ઘણી બેઠકોમાં વિદ્યાર્થીઓએ એડમીશન
સ્વિકાર્યું નથી. આવી સ્થિતિમાં ગાંધીનગર જિલ્લાની ૧૪૫૪ જેટલી બેઠકો માટે આજથી
બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળામાં ધોરણ-૧માં નબળા
અને વંચિત જુથના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. અગાઉ રાજ્ય સરકારે
ઓનલાઇન અરજી અને ફોર્મ મંગાવીને પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી છે.
જેમાં કેટલા વિદ્યાર્થીઓની અરજી માન્ય રહી ન હતી તો કેટલાક વિદ્યાર્થીઓને પોતાની
પસંદગીની શાળા મળી નથી. આવા વિદ્યાર્થીઓને ખાનગી શાળાની પુનઃ પસંદગીની વધુ એક તક
આપવામાં આવી છે.
જે વિદ્યાર્થીઓએ આરટીઇ એક્ટ હેઠળ કરેલી અરજીઓમાં પસંદ કરેલી
શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી
કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ તા.૧૯ થી ૨૧ ઓગસ્ટ સુધી આરટીઇના વેબ પોર્ટલ ઉપર
જઇ શાળાની પુનઃ પસંદગીના મેનુ ઉપર ક્લીક કરીને નવી શાળા પસંદ કરી શકશે. આ વેબ
પોર્ટલ ઉપર એપ્લીકેશન નંબર અને જન્મ તારીખથી વિદ્યાર્થીના વાલી લોગઇન કરી શકશે અને
પુનઃ પસંદગીની તક મેળવી શકશે. આખરમાં સબમીટ બટ ઉપર ક્લીક કરીને વાલી આ ફોર્મની
પ્રિન્ટ પણ પોતાની પાસે રાખી શકશે. અગાઉની જેમ આ પ્રિન્ટની નકલ પણ રીસીવીંગ સેન્ટરમાં જમા કરાવવાની નથી. એટલું
જ નહીં કોઇ વાલીને આ બાબતે મુંઝવણ જણાય તો જિલ્લાના હેલ્પ લાઇન નંબર ઉપર પણ સંપર્ક
કરી શકે છે. જે વિદ્યાર્થીઓ શાળાની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા
અગાઉ પસંદ કરેલી શાળાઓને માન્ય રાખી નિયમોનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા
હાથ ધરવામાં આવશે.