મકાનના વિવાદમાં IBના PIને મદદ કરવા વૃધ્ધાને ઢસડયા
ઓક્ટોબર-2021માં બનેલી ઘટનામાં ઝોન-2 ડીસીપીની તપાસ બાદ કાર્યવાહી : હાઈકોર્ટમાં દાદ મગાતા આકરાં પગલાં
અમદાવાદ : આઈબીમાં કાર્યરત પી.આઈ. ભાડે રહેતા હતા તે મકાનના માલિક સાથે વિવાદ સર્જાતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષે સામસામી અરજીઓ કરવામાં આવી હતી. આ વિવાદમાં આઈ.બી.ના પીઆઈ વી.જી. રાઠોડને મદદ કરવા માટે ચાંદખેડા ડી સ્ટાફના સાત પોલીસ કર્મચારીએ મકાનમાલિકના વૃધૃધ માતાને ઢસડયા હોવાનો વિડિયો જાહેર થયો હતો.
આ કેસમાં ઝોન-2 ડીસીપીએ તપાસ કર્યા પછી ચાંદખેડાના સાત પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે અને ચાંદખેડા પી.આઈ. કે.વી. પટેલ સામે ખાતાકીય કાર્યવાહી કરવા રિપોર્ટ કરાયો છે. નોંધપાત્ર બાબત એ છે કે, ખાખી વર્દીના દુરૂપયોગ મામલે હાઈકોર્ટમાં દાદ મગાતા આકરા પગલાં ભરવામાં આવ્યાં છે.
ચાંદખેડા વિસ્તારમાં પોલીસે એક વૃદ્ધાને ઢસડીને ઘર બહાર કાઢ્યા હોવાનો અને તેમના પતિના ખાટલામાં જ ઉંચકી બહાર કાઢી અત્યાચાર કર્યો હોવાનો આક્ષેપ કરતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતીે. હાઇકોર્ટે રાજ્ય સરકારને આ અંગે રિપોર્ટ ફાઇલ કરવાનો નિર્દેશ કરી વધુ સુનાવણી 15મી ડિસેમ્બરના રોજ નિયત કરી છે.
સુનાવણી પહેલાં ચાંદખેડા પોલીસના સર્વેલન્સ સ્કવોડના સાત પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને પી.આઈ. કે.વી. પટેલ સામે ખાતાકીય કાર્યવાહી કરવા ડીસીપી વિજય પટેલે રિપોર્ટ કર્યો હતો. આ રિપોર્ટના પગલે સાત પોલીસ કર્મચારીના સસ્પેન્શન અને પીઆઈ સામે ખાતાકીય કાર્યવાહીની ભલામણ કરતો રિપોર્ટ પોલીસ કમિશનરને કરવામાં આવ્યો છે.
ચાંદખેડામાં રહેતાં વૃદ્ધાએ હાઇકોર્ટમં રિટ કરી આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રને ઇન્ટેલિજન્સ બ્યુરોના પોલીસ અિધકારી વિજય રાઠોડ સાથે ઘરની માલિકી બાબતે તકરાર થઇ હતી અને તેમના પુત્ર પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે તેણે વિજય રાઠોડ પાસેથી લીધેલા પૈસા પરત આપ્યા નથી.
આ વિવાદમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના આ અિધકારી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીએ તમના ઘરે આવી વૃદ્ધાને ઢસડીને ઘરની બહાર કાઢ્યા હતા અને તેમના પતિને ખાટલામાંથી ઉંચકી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોલીસકર્મીઓ દ્વારા વૃદ્ધો સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પોલીસ સ્ટેશને લઇ જઇને પણ તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટમાં રિટ કરી જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આઈબીના પીઆઈ રાઠોડે તપોવન સર્કલ પાસે બાલાજી વિલામાં મકાન ભાડે રાખ્યું હતું. આ મકાન ખાલી કરવાના મુદ્દે ભાડું નહીં આપ્યાનો અને તેની સામે ઉછીના પૈસા પરત લેવાનો વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદમાં બન્ને પક્ષે અરજીઓ થઈ હતી.
અરજીઓ અંતર્ગત આઈબીના પીઆઈને મદદ કરવા માટે ચાંદખેડા ડી સ્ટાફની ટીમે ખાખી વર્દીનો દુરૂપયોગ કરી વૃધૃધાને ઘરમાંથી ઉઠાવ્યા હતા. વૃધૃધા સાથે ગેરવર્તનનો વિડિયો આવતાં વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં વૃધૃધાએ હાઈકોર્ટમાં દાદ માગી હતી. અદાલતે આગામી તા. 15ના રોજ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે તે પહેલાં ઝોન-2 ડીસીપીએ કરેલી તપાસ બાદ ચાંદખેડા પોલીસના સ્ટાફ સામે આકરાં પગલાં ભરવામાં આવ્યાં છે.


