આખરે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાનું રાજીનામું
પરીક્ષાર્થીઓના વિરોધ વંટોળને ખાળવા સરકારનો નિર્ણય
20મી માર્ચે પરીક્ષા યોજાય તે પહેલાં રાજીનામું લઇ લેવાયું કમલમ્થી આદેશ છૂટતા જ વોરાએ CMને રાજીનામું ધર્યું
અમદાવાદ : પેપરલીંક કૌભાંડ બાદ આખરે સરકારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરા પાસેથી રાજીનામુ લઇ લીધુ છે. તા.20મી માર્ચે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી હેડકલાર્કની પરીક્ષા યોજાય તે પહેલા ંજ આસિત વોરા પાસેથી રાજીનામુ લઇ લેવાયુ છે. પરીક્ષાર્થીઓનો વિરોધવંટોળ ખાળવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
કમલમથી આદેશ છૂટતાં જ આસિત વોરાએ મુખ્યમંત્રીને રાજીનામુ ધર્યુ હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દરા લેવાતી પરિક્ષાઓમાં પ્રશ્નપત્ર ફુટવાની ઘટનાએ ભાજપ સરકારની પ્રતિષ્ઠા ખરડી નાંખી હતી કેમકે, હેડ કલાર્કની 186 જગ્યાઓ માટે ડિસેમ્બરમાં પરીક્ષા યોજાઇ હતી પણ પ્રશ્નપત્ર ફુટતા સરકારે પરીક્ષા રદ કરવી પડી હતી.
આ પેપરલીક કૌભાંડના કારણે રાજ્યભરમાં હોબાળો મચ્યો હતો. એટલું જ નહીં, કોંગ્રેસ-આપે પણ આસિત વોરાના રાજીનામાની માંગ કરી હતી. થોડા દિવસ પહેલાં આપ નેતા યુવરાજસિંહે સરકાર સામે સવાલો ઉઠાવી એવો આરોપ મૂકયો હતોકે, હજુ પેપર ફુટી શકે છે, વચેટિયાઓ ઓએમઆર સીટમાં સેટિંગ કરીને નાણાં ઉધરાવી રહ્યા છે.
પેપરલીક કૌભાંડ બાદ ખાસ કરીને પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ ઉઠયો હતો. પરીક્ષાર્થીઓમાં જાણે સરકારી પરીક્ષાઓ પરથી ભરોસો રહ્યો ન હતો. હજારો પરીક્ષાર્થીઓનો વિરોધ વંટોળ ખાળવાના ભાગરૂપે જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાનું રાજીનામુ લઇ લેવા નક્કી કરાયુ હતું. આસિત વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામુ ધર્યુ હતું.
આ અગાઉ પણ કેટલાંય બોર્ડ નિગમના ચેરમેનો પાસેથી રાજીનામા લઇ લેવાયા હતાં. પેપરલીક કૌભાંડના બે મહિના વિત્યા બાદ આસિત વોરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનપદેથી રાજીનામુ આપ્યુ છે.
આ અગાઉ વિરોધપક્ષોએ એવી કારાગોળ મચાવી હતીકે, અન્ય બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામા લઇ લેવાયા છે તો પછી આસિત વોરા પાસેથી કેમ રાજીનામુ લેવાતુ નથી. આ સવાલો ઉઠતાં આખરે સરકારે આસિત વોરાને ગૌણ સેવા પસંદગી મંડળમાંથી રવાના કર્યા છે.
અન્ય પાંચ બોર્ડ નિગમના ચેરમેનોએ રાજીનામા આપ્યા
(1) આઇ.કે.જાડેજા - 50 મુદ્દા અમલીકરણ સમિતી
(2) બળવંતસિંહ રાજપૂત - જીઆઇડીસી
(3) મુળુ બેરા - ગ્રામ્ય ગૃહ નિમાર્ણ બોર્ડ
(4) હંસરાજ ગજેરા - ગુજરાત બિન અનામત આયોગ
(5) રશ્મિકાંત પંડયા - ગુજરાત બિન અનામત આયોગ ( ડે.ચેરમેન )
(6) મધુ શ્રીવાસ્તવ - ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ