પેટલાદના વિશ્નોલી ગામના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર
- લોકસભાની ચૂંટણી ટાણે સ્થાનિક રાજકારણ ગરમાયું
- ગ્રામ પંચાયતના ૧૧ સભ્યો પૈકી ૧ સભ્ય ગેરહાજર રહેતા દરખાસ્તને સમર્થન મળ્યું
આણંદ.તા, 10 એપ્રિલ 2019,
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વિશ્નોલી ગ્રામ પંચાયતના સરપંચ વિરૂધ્ધ દાખલ કરાયેલ અવિશ્વાસની દરખાસ્તમાં આજે બોલાવાયેલ ગ્રામ પંચાયતની સભામાં ૧૦ સભ્યોની ઉપસ્થિતિમાં ૯ વિરૂધ્ધ ૧ના મતે દરખાસ્ત પસાર થઈ જતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પંચાયતના કુલ ૧૧ સભ્યો પૈકી ૧ સભ્ય ગેરહાજર રહ્યા હતા. જ્યારે ૧૦ સભ્યો પૈકી ૯ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને સમર્થન આપ્યું હતું.
વધુમાં મળતી વિગતો મુજબ પેટલાદ તાલુકાના વિશ્નોલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ ઉપર સાયરાબાનુ ઈનાયતખાન પઠાણ ચૂંટાયા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના તેઓ પંચાયતનો વહીવટ કરતા હોવાનો આક્ષેપ પંચાયતના જ કેટલાક સભ્યો દ્વારા કરાયો હતો.
ઉપરાંત તેમના વિરૂધ્ધ ગેરકાયદેસર કામો કરી ભ્રષ્ટાચાર આચરવાનો તેમજ ગેરકાયદેસર માટી ખનન અને ખોટા ચેકો ઈસ્યુ કર્યા હોવાનો ગંભીર આક્ષેપ ઉપસરપંચ સાકેરાબાનુ પઠાણ સહિતના ૯ સભ્યોએ કર્યો હતો. આમ ઉપસરપંચ સાકેરાબાનુ પઠાણ અને અન્ય ૮ સભ્યો મળીને તેઓએ સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી.
આ અવિશ્વાસની દરખાસ્ત ઉપર આજે વિશ્નોલી ગ્રામ પંચાયતની સભા બોલાવવામાં આવી હતી. આ સભાનું પ્રમુખપદ સાકેરાબાનુએ સંભાળ્યું હતું. ઉપરાંત સભામાં ત્રણ તલાટીઓ પણ હાજર રહ્યા હતા. આ સભામાં ગ્રામ પંચાયતના સરપંચ સહિત કુલ ૧૦ સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે રમણભાઈ હીરાભાઈ હરિજન ગેરહાજર રહ્યા હતા.
અવિશ્વાસની દરખાસ્ત ઉપર સભામાં મતદાન થતા ઉપસરપંચ સહિત ૯ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે એકમાત્ર સરપંચે વિરૂધ્ધમાં મતદાન કર્યું હતું.
આમ, ૯ વિરૂધ્ધ ૧ મતે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા જ ઉપસરપંચના સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. જો કે વિશ્નોલી ખાતે યોજાનાર આ સભાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી મહેળાવ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો.