વડોદરા: મહીસાગર રાયકા દોડકા ફ્રેન્ચવેલની પાણીની ફિડર લાઈનમાં ભંગાણ
- બે દિવસ પાણી લેવાનું બંધ રાખી સમારકામ કરાશે જેથી વડોદરાના ઉત્તર વિસ્તારમાં પાણી કાપ મૂકવો પડશે
Updated: Sep 15th, 2020
વડોદરા, તા.15 સપ્ટેમ્બર 2020, મંગળવાર
વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં પીવાનું પાણી પુરૂ પાડતા રાયકા અને દોડકા ફ્રેન્ચવેલમાંથી પસાર થતી મુખ્ય ફિડર લાઈનમાં ચાર દિવસ અગાઉ ભંગાણ પડયું હતું. જેને કારણે હજારો લીટર પાણી વેચાઈ રહ્યું છે જેની સમારકામની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. જેને કારણે બે દિવસ પાણીનો કકળાટ સર્જાશે તેમ જાણવા મળે છે.
વડોદરા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મુખ્ય સ્ત્રોત ગણાતા મહીસાગર ખાતે કરવામાં આવેલા ચાર ફ્રેન્ચવેલ પૈકીના રાયકા અને દોડકામાંથી બે અલગ અલગ લાઈન બહાર આવે છે અને થોડે દૂર બે પાઇપલાઇન ભેગી થાય છે ત્યાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. ચાર દિવસ અગાઉ ભંગાણ થયું હોવાની જાણકારી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને મળી હતી. જે અંગે આજે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારી અમૃત મકવાણા અને જતીન બધેકાએ મહીસાગર ખાતે પાણીની લાઈનમાં ભંગાણ પડયું હતું. તે સ્થળની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
છેલ્લા ચાર દિવસથી ફ્રેન્ચવેલમાંથી બહાર આવતી પાણીની મુખ્ય ફિડર લાઈનમાં ભંગાણ પડવાને કારણે હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ પર લેવામાં આવશે. જેથી આ કામગીરી માટે ફ્રેન્ચવેલ માંથી લેવામાં આવતું પાણી અટકાવવું પડશે. જેને કારણે વડોદરા શહેરના ઉત્તર વિભાગમાં બે દિવસ સુધી પાણીની તંગી સર્જાશે તેમ જાણવા મળે છે.