અમદાવાદ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ૧૦ દિવસનો સમય બાકી છે ત્યારે મતદારોનો મિજાજ બહાર આવી રહ્યો છે. સરકારના વિવિધ વિભાગના હજુ લાખો કર્મચારીઓ છે કે જેમની માંગણી સરકારે પુરી કરી નથી. ત્યારે નારાજ કર્મચારીઓના વિવિધ સમુહમાં સોશિયલ મિડીયાના માધ્યમથી મેસેજ વાયરલ કરાયા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓ અને તેમના પરિવાર સાથે અન્યાય કરનાર પક્ષને મતદાન કરતા પહેલા વિચારજો . નહીતર ફરીથી ખોટા વાયદા મળશે અને બીજી ચૂંટણી પણ આવી જશે. આ મેસેજના પગલે આઇબીએ રિપોર્ટ આપતા ભાજપ માટે ચિંતા ઉભી થઇ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બે વર્ષ પહેલા રાજ્યમાંથી વિવિધ વિભાગના કર્મચારીઓએ તેમની પડતર માંગણીને લઇને આંદોલન કર્યા હતા. જેમાં કેટલાંક વિભાગની માંગણીઓેને સરકારી માની લીધી હતી. તો કેટલાંક વિભાગમાં માત્ર કહેવા પુરતી જ રજૂઆતને ધ્યાને લઇને ન્યાય આપવાની ખાતરી આપી હતી. જો કે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ત્યાં સુધી તે માંગણીને સંતોષી નહોતી. જેથી અનેક વિભાગના લાખો કર્મચારીઓ નારાજ છે અને તેમની નારાજગીની અસર ચૂંટણી પર થઇ શકે છે. કારણ કે કેટલાંક વિભાગના કર્મચારીઓ દ્વારા સોશિયલ મિડીયાના વોટ્સએપ અને ટેલીગ્રામના વિવિધ ગુ્રપમાં મેસેજ ફરતા થયા છે કે તમારી સાથે તમારા પરિવાર સાથે પણ અન્યાય કરનાર પક્ષને મત આપીને ફરીથી છેતરપિંડીનો ભોગ બનવુ નહી.. માટે તમારા પરિવાર ખાસ કહેજો કે મતદાન સમયે શાસક પક્ષે કરેલા અન્યાયને ધ્યાનમાં લેજો.. સ્ટેટ આઇબીએ આ મેસેજને લઇને રિપોર્ટ પણ ફાઇલ કર્યો છે. જેમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહી પરંતુ, ગુજરાતના તમામ શહેરોમાં આ મેસેજ વિવિધ વિભાગના નારાજ કર્મચારીઓ સુધી પહોંચતા કરાયા છે. એક અંદાજ મુજબ આવા પાંચ થી સાત લાખ કર્મચારીઓ છે અને જો પરિવારદીઠ બે કે ત્રણ મતદારોની અસર થાય તો પણ ૨૦ લાખ જેટલા મતોનું ભારે નુકશાન થઇ શકે તેમ છે.


