વડોદરા,આજવા રોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસેથી જતા બાઇક સવારને ગાયે શિંગડું મારતા તેઓને ડાબા ખભા પર ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
બનાવની મળતી માહિતી મુજબ,મકરપુરા જશોદા કોલોનીમાં રહેતા ૬૦ વર્ષના રમેશભાઇ દેવજીભાઇ પરમાર ખાનગી બાબરિયા કોલેજમાં નોકરી કરે છે.કોલેજના બેનરના કામ માટે તેઓ આજવા ચોકડીથી પાણીગેટ તરફ બાઇક લઇને જતા હતા.તે સમયે સાંજે પાંચ વાગ્યે આજવારોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે ગાયે શિંગડું મારતા તેઓને ડાબા ખભા પર ઇજા પહોંચી હતી.તેમજ છાતીની પાંચ પાંસળીઓ તૂટી ગઇ હતી.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.પ્રાથમિક સારવાર આપ્યા પછી તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે.ઉલ્લેખનીય છે કે,ગત ૧૦ મી તારીખે રાતે મોપેડ લઇને જતા વિઠ્ઠલભાઇ માળીને પાણીગેટ પોલીસ સ્ટેશનની સામે જ રખડતા ઢોરના કારણે અકસ્માત થતા તેઓનું મોત નિપજ્યું હતું.ગત તા.૧૬ મીએ ન્યુ અલકાપુરી લેસિસ ફ્લેટમાં રહેતા ૬૫ વર્ષના સાવદાસભાઇ સાજનભાઇ નંદાણીયા રાતે પોણા દશ વાગ્યે તેઓ ગલ્લા પરથી ઘરે જતા હતા.તે દરમિયાન આશ્રય હોસ્પિટ નારાયણ ગાર્ડન પાસે ગાય વચ્ચે આવી જતા તેઓની બાઇક સ્લિપ થઇ જતા તેઓ નીચે પડયા હતા.તેઓને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલ અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તા,૧૯ મી એે તેઓનું મોત નિપજ્યું હતું.


