Get The App

ભારતીય નૃત્યનો પ્રખ્યાત ગ્રંથ શિલપ્પદીકારમમાં પતિવ્રતા સ્ત્રીએ મદુરાઈ શહેરને આપેલા શ્રાપની કથાનું વર્ણન

આજે ઈન્ટરનેશનલ ડાન્સ ડે

નૃત્યાંગના માધવીને પોતાના અદભૂત નૃત્ય બદલ ૧૦૦૮ સોનાના પાન અને ફૂલવાળો હાર આપવામાં આવ્યો હતો

Updated: Apr 28th, 2021

GS TEAM


Google News
Google News
ભારતીય નૃત્યનો પ્રખ્યાત ગ્રંથ શિલપ્પદીકારમમાં પતિવ્રતા સ્ત્રીએ મદુરાઈ શહેરને આપેલા શ્રાપની કથાનું વર્ણન 1 - image

વડોદરા: હજારો વર્ષ પૂર્વે લગભગ બીજી કે ત્રીજી શતાબ્દિમાં તામિલ ભાષામાં લખાયેલા 'શિલપ્પદીકારમ' ભારતીય નૃત્યો અને સંગીત માટેનો આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે. જેમાં પતિવ્રતા સ્ત્રીએ પતિના મૃત્યુ બાદ રાજાને મદુરાઈ શહેર બળીને રાખ થઈ જશે તેવો શ્રાપ આપ્યો હતો જેનું સુંદર વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. 

એમ.એસ.યુનિ.ની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના ડાન્સ વિભાગના ભરતનાટયમના પ્રો.સ્મૃતિ વાઘેલાએ કહ્યું કે શિલપ્પદીકારમ ગ્રંથમાં ચૌલા રાજવંશના સમયમાં જન્મેલા કન્નગી, કોવલન અને નૃત્યાંગના માધવીની કહાની સંકળાયેલી છે. વેપારી વર્ગમાંથી આવતા કવલનના લગ્ન પૈસે ટકે સુખી કુટુંબની કન્નગી સાથે થાય છે.

જ્યારે માધવી, ઈન્દ્રના દરબારની નૃત્યાંગના ઉર્વશીના કુળની ખૂબ જ સુંદર અને અદભૂત નર્તકી હોય છે. તેણે મંચ પર ભજવેલા નૃત્યથી પ્રભાવિત થઈને રાજાએ તેને ૧૦૦૮ સોનાના પાન અને ફૂલવાળો હાર આપ્યો હતો.

ભારતીય નૃત્યનો પ્રખ્યાત ગ્રંથ શિલપ્પદીકારમમાં પતિવ્રતા સ્ત્રીએ મદુરાઈ શહેરને આપેલા શ્રાપની કથાનું વર્ણન 2 - imageમાધવીના રુપ અને નૃત્યને કારણે પરિણિત કોવલન તેના પ્રેમમાં પડે છે અને પોતાની તમામ સંપત્તિ તેની પાછળ લૂંટાવી દે છે. બીજી તરફ કન્નગી એટલી પતિવ્રતા હોય છે કે જ્યારે કોવલન તેની પાસે પરત ફરે છે ત્યારે તે તેના પતિ સાથે નવી જિંદગી શરુ કરવા પોતાનું શહેર છોડીને મદુરાઈ આવી જાય છે ત્યારે તે પોતાનું એક પાયલ વેચીને ધંધો શરુ કરવા કોવલનને આપે છે જે ખૂબ જ કિંમતી હોય છે.

આ પાયલ લઈને જ્યારે તે રાજઘરાનાના સોની પાસે જાય છે ત્યારે સોનીને ખબર પડે છે કે આ પાયલ રાણીનું જે પાયલ તેણે ચોર્યું તેના જેવું જ છે એટલે પોતાના બચાવ માટે રાજાને તે જાણ કરે છે કેે કોવલને રાણીનું પાયલ ચોરેલું છે જેથી રાજા તુરંત કોવલનનું માથુ ધડથી અલગ કરી નાંખે છે.

જેની જાણ કન્નગીને થતા દરબારમાં આવીને કહે છે જો હું સચ્ચાઈ સાબિત કરી બતાવું તો તમારુ આખુ મદુરાઈ બળીને ખાક થઈ જશે અને તેમ જ બન્યું જ્યારે તેને રાણીનું પાયલ તોડયુ ત્યારે તેમાંથી મોતી નીકળ્યા અને પોતાની પાયલમાંથી માણેક નીકળતા જ રાજાને ખ્યાલ આવી ગયો કે આ બંને પાયલ અલગ છે જેથી તે સ્તબ્ધ થઈ ગયા અને પતિવ્રતા સ્ત્રીના શ્રાપથી મદુરાઈ શહેર ભડકે બળવા લાગ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે આ ગ્રંથ ડાન્સ વિભાગના અભ્યાક્રમનો એક ભાગ છે જેનું વિવિધ દેશોની ભાષામાં રુપાંતરણ થયેલું છે તેમજ શ્રીલંકા, બાલી અને જાવામાં તો આ ગ્રંથમાંથી ફિલ્મો બનાવવામાં આવી છે. તેનું એટલું પ્રભુત્વ છે કે દક્ષિણ એશિયાના દેશોમાંથી વિદ્યાર્થીઓ ખાસ અહીં એમ.એસ.યુનિ.માં નૃત્ય શીખવા આવે છે જેમાં સૌથી વધારે બાંગ્લાદેશ, શ્રીલંકા અને મોરેશિયસના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 

Tags :