For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અટલ એકસપ્રેસના .રેલ્વએ ૪૮ લાખમાં આપેલા પાટા ફીટ કરવા અમદાવાદ મ્યુનિ. ત્રણ કરોડ ખર્ચશે

કાંકરીયા લેકફ્રન્ટમાં અટલ એકસપ્રેસના પાટા ૨૫ ડિસેમ્બર સુધીમાં બદલાઈ જાય એ માટેના તંત્ર દ્વારા પ્રયાસ શરુ

Updated: Nov 17th, 2021


અમદાવાદ,બુધવાર,17 નવેમ્બર,2021

સ્માર્ટ સિટી અમદાવાદ શહેરના વહીવટીતંત્રના  અણઘડ આયોજનના કારણે કાંકરીયા લેકફ્રન્ટ ખાતે છેલ્લા ઘણાં સમયથી બંધ કરવામાં આવેલી અટલ એકસપ્રેસના પાટા નાંખવા માટે ત્રણ કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.નોંધપાત્ર બાબત એ છે કે,રેલ્વે પાસેથી મ્યુનિસિપલ તંત્રે ૪૮ લાખમાં પાટા લીધા હતા.હાલ આ પાટા બદલવાની કામગીરી શરુકરી છે.૨૫ ડિસેમ્બર સુધીમાં આ પાટા બદલવા તંત્ર દ્વારા પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,કાંકરીયા લેકફ્રન્ટ પરીસરમાં બાળકો માટે શરુ કરવામાં આવેલી ટ્રેન પૈકી અટલ એકસપ્રેસના પાટા ટ્રેન શરુ કરવામાં આવી ત્યારથી  બદલવામાં ના આવ્યા હોવાથી મરામત માંગી લે એવી સ્થિતિમાં હતા.દરમ્યાન આર.એન્ડ બી. વિભાગ તરફથી પાટા બદલવા અંગે અભિપ્રાય આપવામાં આવતા મ્યુનિસિપલ તંત્ર તરફથી રેલ્વે વિભાગ પાસેથી ૪૮ લાખના ખર્ચથી પાટા લીધા હતા. તંત્ર તરફથી હવે ૪૮ લાખમાં રેલ્વે પાસેથી લેવામાં આવેલા આ પાટાના ઈન્સ્ટોલેશન માટે ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવનાર હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.રીક્રીએશન કમિટીના ચેરમેનની મળેલી પ્રતિક્રીયા મુજબ, ૨૫ ડિસેમ્બર પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેઈનો જન્મ દિવસ હોવાથી આ દિવસથી ટ્રેક બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાના કારણોસર બંધ કરવામાં આવેલી અટલ એકસપ્રેસ ફરીથી શરૃ કરી શકાય એ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે.શહેરમાં પ્રવેશવાના તમામ મુખ્ય માર્ગો ઉપર સીટી એન્ટ્રી બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા બગીચા પૈકી ૩૫ જેટલા બગીચામાં રીપેરીંગની કામગીરી પુરી કરવામાં આવી છે.

 સિનિયર સિટીઝનો માટે સ્વિમિંગ પુલમાં પ્રવેશને લઈ સરકારમાં રજુઆત કરાશે

અમદાવાદ શહેરમાં આવેલા તમામ સ્વિમિંગ પુલમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ ૬૫ વર્ષથી વધુની વયના સિનિયર સિટીઝનોને સ્વિમિંગ માટે મંજુરી હાલ આપવામાં આવતી નથી.કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં લઈ ૬૫થી વધુની વયના સિનિયર સિટીઝનો જેમણે કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હોય તેમનેે સ્વિમિંગ માટે મંજુરી આપી શકાય એ માટે રાજય સરકારમાં રજુઆત કરવાનો નિર્ણય રીક્રીએશન કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે.

Gujarat