ગઢડાના આત્મારામ પરમાર છેલ્લી ઘડીએ મંત્રીની રેસમાંથી બહાર થયા
સમર્થકો ત્રણેક દિવસથી ગાંધીનગરમાં ધામા નાંખીને બેઠા હતા
પ્રદિપસિંહે પોતાના વિશ્વાસુ અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારને મંત્રીમંડળમાં સમાવતા આત્મારામનું પત્તું કપાયું હોવાની ચર્ચા
ભાવનગર : ભાજપ સરકારે રાજ્યની આગેવાની ડોર નવા ચહેરાઓને આપી છે. સીએમથી લઈ મંત્રીમંડળની રચનામાં તમામ ફ્રેશ ચહેરાને સ્થાન અપાયું છે. જેના કારણે નિશ્ચિત મનાતા ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર મંત્રીપદની રેસમાંથી છેલ્લી ઘડીએ બહાર થઈ ગયા હતા.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નવી સરકારમાં નો રિપીટ ફોર્મ્યુલા સાથે 25 મંત્રીઓની શપથવિધિ કરાઈ છે. જેમાં બોટાદ જિલ્લાને સાઈડ લાઈન કરી દિગ્ગજ નેતાઓનું પત્તું કાપી નાંખવામાં આવ્યું હતું.
ગઢડા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી લડી જીતેલા સમાજ કલ્યાણ વિભાગના પૂર્વ મંત્રી આત્મારામ પરમારને નવા મંત્રીમંડળમાં સમાવવાનું નિશ્ચિત મનાતું હતું. તેમના કાર્યકરો પણ છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગરમાં ધામા નાંખીને બેઠા હતા. તેવામાં પાર્ટી હાઈકમાન્ડે છેલ્લી ઘડીએ શતરંજની ચાલ બદલી આત્મારામ પરમારની છેલ્લી ઘડીએ પ્રધાનમંડળમાંથી બાદબાકી કરી દીધી હતી.
ભાજપે નવા મુખ્યમંત્રીની જાહેરાત કર્યા બાદ નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ થવા માટે ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવી લોબીંગ કર્યું હતું. જેના કારણે એક દિવસ માટે શપથવિધિ સમારોહ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. તેમાં માજી ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ખેલ પાડયો હોવાની પણ ચર્ચાઓ બહાર આવી છે.
માજી ગૃહમંત્રીએ મોવડી મંડળ પર દબાણ કરી તેમના વિશ્વાસુ અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારને મંત્રીમંડળમાં સ્થાન અપાવ્યું હતું. જે કારણથી પણ આત્મારામ પરમારનું પત્તું કપાયું છે. તો બીજી તરફ નો રિપીટ થિયરીને કારણે પણ આત્મારામ પરમારનું ંમંત્રી બનવાનું સ્વપ્ન રોળાયું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.