અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે અટલ પેન્શન યોજનામાં ૨૩.૮૦ ટકા વૃધ્ધિ દર નોંધાયો
ગત નાણાકીય વર્ષમાં ૨૭૦૬૭ લોકોએ અટલ પેન્શન યોજના અપનાવી
વડોદરા,ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પેન્શન સ્કીમ હેઠળ અટલ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત વડોદરામાં છેલ્લા નાણાકીય વર્ષમાં ૨૩.૮૦ ટકાની વૃધ્ધિ સહિત કુલ ૧.૪૦.૮૦૩ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૧૮ થી ૪૦ વર્ષની વયનો હોય અને આવકવેરા કરદાતા ન હોય તેવો કોઇપણ નાગરિક અટલ પેન્શન યોજનામાં નોંધણી કરાવીને લાભ લઇ શકે છે. વડોદરા નાણાકીય વર્ષ ૨૦૨૨ માં ૧,૧૩,૭૩૬ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે વર્ષ ૨૦૨૩ માં ૨૩.૮૦ ટકાની વૃધ્ધિ સાથે ૧.૪૦,૮૦૩ થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ માં ૨૭,૦૬૭ લોકો એ અટલ પેન્શન યોજના અપનાવી છે.
આ યોજના અન્વયે પસંદ કરેલ યોગદાનના આધારે પ્રતિ મહિને ૧ થી ૫ હજાર પ્રતિ મહિને નિશ્ચિત માસિક પેન્શનની રકમ આપવાની હોય છે. નાગરિક ૬૦ વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી પેન્શન યોજનામાં નિયમિત યોગદાન આપવું જરૃરી હોય છે.
કુલ લાભાર્થીઓમાં ૪૮ ટકા મહિલા લાભાર્થિઓ ધરાવતી આ યોજના સર્વ સમાવેશી બની છે.અટલ પેન્શન યોજનામાં યોગદાન નેશનલ પેન્શન સ્કીમ જેવા જ કર લાભો માટે પાત્ર છે.