ગુજરાતના નવા DGP પદે આશિષ ભાટિયા નક્કી, આજે જાહેરાત થશે
- આજે DGP શિવાનંદ ઝા નિવૃત્તિ લેશે
- UPSCની બેઠકમાં ભાગ લેવા આજે મુખ્ય સચિવ અનિલ મુકિમ-ગૃહ સચિવ સંગિતાસિંઘ દિલ્હીમાં
અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ લગભગ નક્કી,મુખ્યમંત્રી-શિવાનંદ વચ્ચે બેઠક થઇ
અમદાવાદ, તા. 30 જુલાઇ, 2020, ગુરૂવાર
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા આવતીકાલે નિવૃત થઇ રહ્યાં છે જેથી નવા પોલીસવડાની નિયુક્તિને લઇને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. આવતીકાલે દિલ્હીમાં યુપીએસસીની બેઠક મળી રહી છે.
જેમાં આ મામલે ચર્ચા કરવા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુક્મિ અને ગૃહ સચિવ સંગિતાસિંઘ ભાગ લેવા જઇ રહ્યાં છે.આ બેઠક બાદ રાજ્યના નવા પોલીસ વડાના નામની સત્તાવાર જાહેરાત થશે. અત્યારે રાજ્યના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા લગભગ નક્કી જ છે.
નવા ડીજીપી માટે રાજ્ય સરકારે આઇપીએસ અિધકારીઓના નામોની યાદી જાહેર સેવા આયોગને મોકલી આપી હતી જેમાંથી આશિષ ભાટિયા , રાકેશ આસૃથાના , એ.કે,સિંઘ અને વિનોદ મલના નામો ટોપ રહ્યાં છે. આ નામો પૈકી રાજ્ય સરકાર નવા પોલીસ વડાની પસંદગી કરશે.
આવતીકાલે દિલ્હીમાં જાહેર સેવા આયોગની એક બેઠક મળી રહી છે જેમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ અને ગૃહ સચિવ સંગિતાસિંઘ ભાગ લેશે.બપોર પછી રાજ્યના નવા પોલીસ વડાના નામની સત્તાવાર ઘોષણા થઇ શકે છે. સૂત્રોના મતે, મોડી સાંજે આશિષ ભાટિયા ડીજીપીનો પદભાર સંભાળી શકે છે.
આ તરફ,શિવાનંદ ઝાની નિવૃતિનો આવતીકાલે આખરી દિન છે. એવી પણ અટકળો ચાલી રહી છેકે, નિવૃતિ બાદ શિવાનદ ઝાની દિલ્હીમાં સેવા લેવાશે. મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડીજીપી શિવાનંદ ઝા વચ્ચે બેઠક પણ યોજાઇ હતી જેમાં નવા ડીજીપીના નામને લઇને ચર્ચા થઇ જાણવા મળ્યુ છે.
આશિષ ભાટિયા ડીજીપીનો પદભાર સંભાળશે તો અમદાવાદ પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી પડી રહી છે જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર પદે સંજય શ્રીવાસ્તવ અને કેશવકુમારના નામો ચર્ચામાં છે.
જો કે, સંજય શ્રી વાસ્તવની અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે પસંદગી લગભગ ફાઇનલ છે. એવુ ય જાણવા મળ્યુ છેકે, રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશ્નરની ય બદલી થઇ શકે છે. આમ,આવતીકાલે રાજ્યના નવા ડીજીપીના નામ પર મહોર લાગશે.