અસલમના ડરથી અસરદે વડોદરા છોડયું, અસલમ પકડાતાં ફરિયાદ કરવાની હિંમત આવી
વડોદરા, તા.17 સપ્ટેમ્બર 2019, મંગળવાર
અસલમના ડરથી ગભરાયેલા રિક્ષાચાલકે પોતાનો જીવ બચાવવા માટે વડોદરા છોડી દીધું હતું.
અસલમ બોડિયાની દાદાગીરીનો ભોગ બનેલા ગોરવાના રિક્ષાચાલક મો.અસરદે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારૃં અપહરણ કરી છોડી દીધા પછી પણ અસલમ અને તેના માણસો મારા મિત્ર મહેશ પાસે રૃા.૪૨ હજાર વસૂલવા માટે મને શોધી રહ્યા હતા.
તેઓ બ્લુ રંગની કારમાં રાત્રિના સમયે વડોદરા રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નં.૬ પાસે આંટાફેરા મારતા હોવાની જાણ થતાં આખરે હું સુરત મારા સબંધીને ત્યાં રહેવા જતો રહ્યો હતો.અસલમ પકડાતાં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.
અસરદનું અપહરણ કરનારઅસલમ બોડિયાની કાર પોલીસને કેમ ન દેખાઇ
રિક્ષાચાલક મો.અસરદનું કારમાં અપહરણ કરનાર અસલમ બોડિયો અને તેના સાગરીતો વડોદરાની આસપાસના લગભગ ૬૦ કિમી વિસ્તારમાં બિન્ધાસ્ત ફર્યા હતા.પરંતુ ક્યાંય તેઓ પોલીસની નજરમાં આવ્યા નહતા.
તા.૧લી જુલાઇએ રાતે દોઢેક વાગે મો.અસરદનું ન્યાયમંદિર વિસ્તારમાંથી કારમાં અપહરણ કરનાર અસલમ બોડિયો અને તેના સાગરીતો માંડવી, પ્રતાપનગર ત્રણ રસ્તા, ડભોઇ રોડ, કપૂરાઇ ચોકડી થઇ ડભોઇ ગયા હતા.
ડભોઇથી તેઓ કાર લઇ વાઘોડિયા ગયા હતા અને ત્યાંથી વડોદરા આવ્યા હતા.વાઘોડિયારોડ થઇ પાણીગેટ,માંડવી વાળા માર્ગે તેઓ ન્યાયમંદિર આવ્યા હતા અને ત્યાં ધમકી આપી મો.અસરદને છોડી દીધો હતો.આમ,રાતે ચેકિંગના નામે વાહન ચાલકોને રંજાડતી પોલીસે ક્યાંય અસલમની કાર અટકાવી નહતી.