Get The App

અન્નપૂર્ણા યોજના 3 વર્ષથી બંધ,10 રૂપિયમાં ગુજરાતી થાળીનું ભોજન સ્વપ્ન બની ગયું !

- છેવાડાના માણસને ભરપેટ જમાડવાની સરકારી યોજનાનો ફિયાસ્કો

- અમદાવાદમાં અન્નપૂર્ણા યોજનાના કાઉન્ટરો ધુળ ખાય છે, માનવીય ભાવનાઓ ભુલી સરકાર રાજકારણમાં વ્યસ્ત બની

Updated: Jan 29th, 2022

GS TEAM


Google News
Google News

અમદાવાદ,તા.29 જાન્યુઆરી 2022, શનિવાર
અન્નપૂર્ણા યોજના 3 વર્ષથી બંધ,10 રૂપિયમાં ગુજરાતી થાળીનું ભોજન સ્વપ્ન બની ગયું ! 1 - image

૧૦ રૂપિયામાં ભરપેટ ભોજનની રાજ્ય સરકારની અન્નપૂર્ણા યોજનાનું બાળ મરણ થઇ ગયું છે ! જુન ૨૦૧૭ ના વર્ષમાં અમદાવાદમાં શરૂ થયેલી આ યોજના લગભગ છેલ્લા ત્રણેક વર્ષથી બંધ પડી છે, શહેરના કડિયાનાકાઓ પર , ચાર રસ્તાઓ  પાસે તેના કાઉન્ટરો હાલમાં ધુળ ખાઇ રહ્યા છે.

ચૂંટણીવર્ષમાં મોટાઉપાડે મત અંકે કરવા માટે અને ખાસ કરીને સામાન્ય માણસની સહાનુભુતિ અને વોટ મેળવવા માટે રાજ્ય સરકારે ફેંકેલો આ પાસો મનમરજી મુજબ સીધો પડયા પછી સરકારે યોજના જ બંધ કરી દીધી ! હવે જ્યારે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે અન્નપૂર્ણા યોજના ફરી પાછી અલ્પકાલ માટે જીવંત થાય છેકે પછી તે ભુતકાળ જ બની રહેશે તે અંગે લોકોમા૨ં અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.

પૂર્વ અમદાવાદમાં ઓઢવ, રાજેન્દ્રપાર્ક, સીટીએમ, ઠક્કરબાપાનગર, નરોડા, નિકોલ , રામોલ સહિતના વિવિધ કડિયાનાકાઓ ઉપર તેમજ  શહેરના અન્ય મહત્વની જગ્યાઓ પર અન્નપૂર્ણા યોજનાના કાઉન્ટરો મુકીને શહેરીજનોને ફક્ત ૧૦ રૂપિયામાં ગુજરાતી થાળીનું ભોજન આપવાની અતિમહત્વની અને સમાજના દરેક વર્ગ માટે ઉપયોગી યોજના આરંભાઇ હતી. તે સમયે સરકારે ભારે વાહવાહી મેળવી હતી.

દાળ-ભાત, શાક-રોટી, છાસ સહિતની ભોજન સામગ્રી પાર્સલ સુવિધાના રૂપમાં પણ પેક કરી અપાતી હતી. કડિયાનાકા પર સવારે મોટી સંખ્યામાં મજૂર વર્ગ આવતો હોય છે. કામે જતા પહેલા તેઓ ભરપેટ ભોજન એ પણ ફક્ત ૧૦ રૂપિયામાં કરી શકે તે માટેની આ યોજનાનો લાભ સમાજનો એક મોટો વર્ગ લેતો હતો. 'અડધી કટિંગ ચાના ભાવે 'ભોજન મળી રહેતું હોય તે બાબત ગરીબ વર્ગ માટે તો આશિર્વાદરૂપ સાબિત થઇ હતી.

 આ અંગે પૂર્વ વિસ્તારના  આદીનાથનગરના સ્થાનિક અગ્રણી અને સામાજિક કાર્યકર્તા સુરેશભાઇ ટાંકના જણાવ્યા મુજબ ઓઢવ કડિયાનાકા પર હાલમાં રોજ અઢીસોથી વધુ લોકો સવારે ઉભા હોય છે. મજૂરી અર્થે આવેલા આ લોકોને અન્નપૂર્ણા યોજના હેઠળ જે ૧૦ રૂપિયામાં ભરપેટ ભોજન મળતું હતું તેના કારણે તેઓને મોટી રાહત થતી હતી અને મજૂરીની રકમમાંથી  ખાદ્યાખોરાકીનો ખર્ચ બચી જતો હતો. હાલમાં આ યોજના જ અમલી ન હોવાથી મજૂરોએ નાછૂટકે ૭૦ થી ૧૦૦ રૂપિયામાં ઢાબાઓમાં ભોજન લેવાની ફરજ પડી રહી છે.

પૂર્વ અમદાવાદમાં ચાલીઓ, ઝૂંપડપટ્ટીઓમાં તેમજ સ્લમ વિસ્તારમાં લોકો રહે છે.  ઔદ્યોગિક વસાહતોમાં કામ કરે છે, ખાસ કરીને પરપ્રાંતિય મજૂરોની સંખ્યા વધુ છે. બીજી તરફ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરો કે જેઓ દાહોદ-ગોધરાથી આવે છે તેઓ પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. છૂટક મજૂરી, નોકરી અને નાના-મોટા ધંધા-રોજગાર પર જીવન નિભાવતા પૂર્વ અમદાવાદના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે શરૂ કરાયેલી આ અન્નપૂર્ણા યોજના ફરી પાછી તેઓના હિત ખાતર ચાલુ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

કોરોનાકાળમાં ખરા સમયે જરૂર હતી ત્યારે જ સરકારે ભોજનની યોજના બંધ કરી દીધી !

કોરોનાકાળમાં જ્યારે ગરીબ વર્ગ અતિ મુસીબતમાં મુકાઇ ગયો હતો ત્યારે જ આ અન્નપૂર્ણા યોજના સરકારે બંધ કરી દીધી હતી. સામાન્ય લોકોના મતે આ એક અવસર હતો અને અન્નપૂર્ણા યોજનાની યથાર્થતા સિદ્ધ કરનારો સમય હતો તે સમયે જો લોકોને ૧૦ રૂપિયમાં પાર્સલ સુવિધાના રૂપે પણ ગુજરાતી ભોજનની થાળી આપી હોત તો લાખો લોકોનું ભલુ થઇ જાત.

સરકારે ખરા સમયે જ અન્ન પૂર્ણા યોજના બંધ કરીને લોકોને તેમના હાલ પર છોડી દીધા, ગરીબ વર્ગ લાચારીમાં મુકાઇ ગયો, ભીખ માંગતા હોય તેમ સેવાભાવી સંસ્થાઓના અન્નના કાઉન્ટરો પર દાળ-ભાત લેવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડયું હતું. કોઇ સંસ્થા દયા ભાવ રાખી ભોજનનું પાર્સલ આપી જાય અને સાથે સાથે ફોટા પણ પડાવતા જાય તેવી લાચારીમાં લોકોએ દિવસો ગુજાર્યા હતા. 

આ અંગે ઓઢવના સ્થાનિક આગેવાન ધનાભાઇ દેસાઇના જણાવ્યા મુજબ સરકારે જો કોરોનાકાળમાં અન્નપૂર્ણા યોજનાના કાઉન્ટરો ચાલુ રાખ્યા હોત તો લાખો ગરીબોની આબરૂ , ઇજ્જત બચી જાત તેઓએ અનાજ માટે ભોજન માટે લાચારીમાં મુકાવું ન પડત,

ફક્ત ૧૦ રૂપિયા ખર્ચીને તેઓ સ્વમાનભેર ભરપેટ ભોજન કરી શકતા અને તેમના બાળકોનું પેટ પણ ભરી શકતા.હાલમાં આ યોજનાની જરૂરીયાત છે સરકારે ગંભીરતાથી વિચારીને આ યોજના પૂનઃગરીબોના લાભાર્થે ચાલુ કરી દેવી જોઇએ.

Tags :