Gujarat

કોર્ટના આદેશ બાદ ૧૧ માસ જુના કેસમાં આનંદનગર પોલીસે ગુનો નોંધી

By GS Team
5 Sep 20232 mins read
This article was originally published on 5 Sep 2023
કોર્ટના  આદેશ બાદ  ૧૧ માસ જુના કેસમાં આનંદનગર પોલીસે  ગુનો નોંધી

અમદાવાદ, મંગળવાર

શહેરના આનંદનગરમાં આવેલા કૃષ્ણધામ ઔડાના મકાનમાં રહેતા  એક વ્યક્તિનું ગત ડિસેમ્બર મહિનામાં શંકાસ્પદ સ્થિતિમાં મોત નીપજ્યું હતું.  જેમાં તેના શરીર પર તિક્ષણ ઇજાઓ થઇ હોવા છંતાય, આનંદનગર પોલીસે આ કેસ અકસ્માતનો હોવાનું કહીને મૃતકના પત્નીને ગોળ ગોળ જવાબ આપીને કોઇ કાર્યવાહી કરી નહોતી. છેવટે આ અંગે મૃતકના પત્નીએ  તેના પતિની હત્યા થઇ હોવાની આશંકાને આધારે ત્રણ શકમંદો વિરૂદ્વ ગુનો નોંધવા માટે અરજી કરી હતી. જેના આધારે કોર્ટે કોલ ડિટેઇલ રેકોર્ડ અને મૃતકના શરીર પરની ઇજાઓ તેમજ અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને આનંદનગર પોલીસને ગુનો નોંધવા માટે હુકમ કરતા પોલીસે  આ અંગે એક મહિલા સહિત ત્રણ લોકો વિરૂદ્વ ફરિયાદ નોંધી હતી. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે હાલ સાબરકાંઠાના વિજયનગરમાં રહેતા કોકીલાબેન બારોટ  પહેલા તેમના પતિ ચીમનભાઇ બારોટ અને સંતાનોે સાથે રહેતા હતા. ગત ૧૫મી ઓક્ટોબરના ચીમનભાઇ તેમની બહેન નંદાબેન અને મિત્ર કૈલાશભાઇ સાથે સ્કુટર પર ઘરે આવી રહ્યા હતા. ત્યારે  તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા વ્યક્તિનો સતત ફોન આવતો હતો અને તે તેમને કોઇ કારણસર ધમકી આપી હતી. આ દરમિયાન રાતના નવ વાગે કૈલાશભાઇએ તેમને ફાટક પાસે ઉતાર્યા હતા.   જે બાદ સાડા દશ વાગ્યા બાદ  ચીમનભાઇનો મોબાઇલ ફોન  સ્વીચ ઓફ આવતો  હતો અને મોડી રાત સુધી ઘરે આવ્યા નહોતા. જેથી સવારે તેમનો શોધવા માટે  તેમની સાથે નોકરી કરતા પકંજ નામના વ્યક્તિને ત્યાં ગયા હતા અને બાદમાં જાણવા  મળ્યું હતું કે  વસ્ત્રાપુર ફાટક પાસે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલત મળી આવ્યો હતો. જેને અસારવા સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. પંરતુ, સારવાર  દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ત્યાં જઇને તપાસ કરતા આ મૃતદેહ ચીમનભાઇનો હતો અને તેમને ઉંડા ઘા લાગ્યા હતા. જો કે આનંદનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે આ કેેસ અકસ્માતનો હોવાનું જણાવ્યું હતું. પરંતુ, કોકીલાબેને  તેમના પતિની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરીને કૃષ્ણધામમાં રહેતા બિપિન બારોટ, તેનો ભાઇ જસવંત બારોટ અને લીલાબેન બારોટના  શકમંદ તરીકે આપ્યા હતા. તેમ છંતાય, પોલીસે આ અંગે કોઇ કાર્યવાહી ન કરતા પોલીસ કમિશનરથી માંડીને ડીજીપી સુધી અરજી કરવામાં આવી હતી.  જેમાં શંકાસ્પદ આરોપીઓએ તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જે દિવસે મરણ થયુ તે દિવસે પણ ફોન પણ ધમકી મળી હતી. જે વિગતો કોલ ડિટેઇલમાં સામે આવી હતી. જે બાદ ઘર પાસે ચીમનભાઇ પકડીને માર મારતા મોત નીપજ્યું હોવાની વિગતો પણ આપી હતી. તેમ છંતાય, પોલીસે તેમની વાતને ધ્યાનમાં લેતા આ અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. જેના આધારે કોર્ટ હુકમ કરતા છેવટે આનંદનગર પોલીસે  બિપિન બારોટ, જસવંત બારોટ અને લીલાબેન બારોટ વિરૂદ્વ હત્યાનો ગુનો નોંધ્યો હતો.