Get The App

અનિલ સ્ટાર્ચના ચેરમેન અમોલ શેઠે આયોજનપૂર્વક લોકોનું રૂપિયા 1000 કરોડનું ફૂલેકું ફેરવ્યું

Updated: Oct 12th, 2021

GS TEAM


Google News
Google News
અનિલ સ્ટાર્ચના ચેરમેન અમોલ શેઠે આયોજનપૂર્વક લોકોનું રૂપિયા 1000 કરોડનું ફૂલેકું ફેરવ્યું 1 - image


12 ટકા વ્યાજના દરે પેટા કંપનીઓમાં રોકાણ કરાવી 'ધક્કા બેન્ક'ના ચેક આપ્યા!

ચાર વર્ષમાં સીઆઈડી ક્રાઈમ, શહેરકોટડા, નવરંગપુરા, માણસાની 7 ફરિયાદોમાં રાજકીય દબાણથી કાર્યવાહી ન કરાઈ

વસ્ત્રાપુરના વેપારી સાથે 14.50 લાખ, ચાંદખેડાના પરિવાર સાથે દોઢ કરોડની ઠગાઈ: ડઝન અરજી આવી

ક્રાઈમ બ્રાન્ચે અમોલ શેઠને ઝડપી ત્રણ દિવસમાં બીજી ફરિયાદ નોંધી

અમદાવાદ : અનિલ સ્ટાર્ચના અમોલ શેઠે આયોજનપૂર્વક રોકાણો કરાવીને સેંકડો સામાન્ય રોકાણકારોનું 1000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે. વાર્ષિક 12 ટકા વ્યાજના દરે પેટા કંપનીઓમાં રોકાણ કરાવી સામાન્ય રોકાણકારોને ધક્કા બેન્કના ચેક પકડાવી દીધા હતા. પેટા કંપનીઓમાં રોકાણ કરાવીને પાકતી મુદ્દતના ચેકો આપી નાણાં નહીં આપીને છેતરપિંડી કર્યાની એક પછી ફરિયાદો થઈ રહી છે.

વિતેલા ચાર વર્ષ દરમિયાન સીઆઈડી ક્રાઈમ, શહેરકોટડા, નવરંગપુરા અને માણસામાં સાત ફરિયાદો નોંધાઈ હતી પણ રાજકીય દબાણથી કાર્યવાહી થઈ નહોતી. ક્રાઈમ બ્રાન્ચે અમોલ શેઠ (ઉ.વ. 53)ને ઝડપી ત્રણ દિવસમાં બે ફરિયાદ નોંધી છે. વસ્ત્રાપુરના રોકાણકારના 14.50 લાખ પછી ચાંદખેડાના પરિવાર સાથે 1.55 કરોડની છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદના પ્રતિષ્ઠિત અનિલ સ્ટાર્ચ મીલપરિવારના અમોલ શેઠ સામે સામાન્ય નાગરિક એવા રોકાણકારો સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદો નોંધાવા લાગી છે. અનિલ સ્ટાર્ચ મીલ લિ. ઉપરાંત પેટા કંપનીઓના નામે રોકાણકારોને વર્ષે 12 ટકા વ્યાજના દરે પૈસા મેળવવામાં આવતાં હતાં.

નાણાં રોકવાની અવેજીમાં ગેરંટી તરીકે અનિલ ટ્રેડકોમ લિ. કે અન્ય પેટા કંપનીના ઓથોરાઈઝની સહીવાળી બિલ ઓફ એક્સચેન્જની રિસિપ્ટ અને મકાઈ ખરીદીના રિટેઈલ ઈનવોઈસ તથા પાકતી મુદ્દતના બેન્કના ચેકો આપવામાં આવતા હતા.

પાકતી મુદ્દતે નાણાં આપવાનો વિશ્વાસ સંપાદન કરી મેળાપિપણામાં સુઆયોજીત કાવતરૂં રચી અનેક રોકાણકારોના પૈસાનું બિલ ડીસ્કાઉન્ટમાં રોકાણ કરાવી મુડી અને વ્યાજ સાથે નાણાં પરત નહીં કરી પૈસા અંગત ઉપયોગમાં વાપરી નાંખી વિશ્વાસઘાત, છેતરપિંડી કરાયાની બે ફરિયાદો ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે.

ચોંકાવનારી બાબત એ છે કે, અમોલ શેઠ સામે વર્ષ 2017માં નવરંગપુરા અને શહેરકોટડા, વર્ષ 2018માં માણસા પોલીસ સ્ટેશનમાં બે ઉપરાંત વર્ષ 2019 અને 2020માં સીઆઈડી ક્રાઈમમાં સાત ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

શાતિર દિમાગના અને રાજકીય વગનો ઉપયોગ કરતાં અમોલ શેઠની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી નહોતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ વિંગને અમોલ શેઠ સામે છેતરપિંડીની ફરિયાદ અરજીઓ મળી હતી. વિધીવત ફરિયાદ નોંધાય તો અમોલ અદાલતમાંથી આગોતરા જામીન મેળવી લેતો હતો.

આથી, ક્રાઈમ બ્રાન્ચે રાજસૃથાનના જેસલમેરમાંથી અમોલને ઝડપી લીધો હતો. અમોલ ઝડપાઈ જશે તે નિશ્ચિત બનતાં  જ તેની સામે વિિધવત ગુનો નોંધવામાં આવ્યો હતો. અમોલની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા પછી વધુ બે દિવસના રિમાન્ડ પર મેળવાયો છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચે બીજી ફરિયાદ પણ નોંધી છે.

શિલજમાં રહેતા અને વસ્ત્રાપુરમાં વ્યવસાય કરતા કેદારભાઈ તાંબે સાથે 14.50 લાખનું રોકાણ અનિલ ટ્રેડ કોમ લિ.ના નામે મેળવ્યા પછી નાણાં કે વ્યાજ અપાયા નહીં હોવાની ફરિયાદ નોંધી અમોલ શેઠની ધરપકડ કરાઈ છે.

દરમિયાન, મંગળવારે ચાંદખેડામાં રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા રશ્મિકાન્તભાઈ રમણલાલ મોદી અને તેમના પરિવારના સભ્યો પાસેથી  વર્ષ 2015થી અત્યાર સુધીમાં કુલ 1.55 કરોડના રોકાણ મેળવી છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે.

અનિલ સ્ટાર્ચ મીલના પેટા કંપની અનિલ ટ્રેડ કોમમાં 120થી 180 દિવસની મુદ્દતમાં 9થી 12 ટકા વ્યાજ દરની સ્કીમમાં રોકાણ કરાવી સિધૃધાર્થ કોનમાર્ટ પ્રા.લિ.ના ચેક અપાયા હતા જે પાકતી મુદ્દતે પાછા ફર્યા હતા. રશ્મિકાન્તભાઈના પરિવારના 10 સભ્યોના કુલ 1.55 કરોડના રોકાણો સામે કુલ પચ્ચીસ ચેકો અપાયાં હતાં.

અમોલ શેઠ અને તેના ભાગીદારોએ હજારો લોકો પાસેથી આવી રીતે પૈસા ઉઘરાવી પરત નહીં આપ્યાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધી છે. હજુ અનેક ફરિયાદ અરજીઓ મળી છે અને તપાસ કરી વધુ ગુના નોંધાતાં રહેશે તેમ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો કહે છે. અમોલ શેઠ અને ટોળીએ 1000 કરોડનું ફૂલેકું ફેરવ્યાની ચર્ચા વેગવાન છે.

અમોલ શેઠને સેવન સ્ટાર હોટલમાંથી ઝડપી લીધો !

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, ગામના પૈસે લીલાલહેર કરતો હોય તેમ અમોલ શેઠ જેસલમેરની સેવનસ્ટાર હોટલમાંથી ઝડપી લેવાયો હતો. ગાંધીનગરના કોટેશ્વર પાસે આંગણ બંગલોઝમાં રહેતા અમોલને પોલીસ દિવસોથી તેને ટ્રેક કરી રહી હતી. કોઈને મળતો ન હોવાથી અમોલ પકડાતો નહોતો. ટેકનિકલ સર્વેલન્સ બાદ અમોલનો નિશ્ચિત પતો મળતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જેસલમેરમાંથી અમોલને ઉઠાવી લીધો હતો.

કર્મચારીઓ, રોકાણકારો દ્વારા 9થી 12 ટકા વ્યાજની લાલચ અપાતી

અમોલશેઠની ચિટિંગની મોડસ ઓપરેન્ડી અજબ ગજબ રહી છે.પોલીસ કહે છે કે, અમોલ રોકાણો મેળવવા માટે તેના કર્મચારીઓ અને રોકાણકારોનો ઉપયોગ કરતો હતો. ચાંદખેડાના રશ્મિભાઈને તેમના એકાઉન્ટન્ટે અનિલ સ્ટાર્ચમાં 9થી 12 વ્યાજની વાત કરી રોકાણની સલાહ આપી હતી. આ એકાઉન્ટન્ટ અનિલ સ્ટાર્ચના એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતો હતો. સહઆરોપી અને ડાયરેક્ટર શિવપ્રસાદ કાબરા પણ અમોલ શેઠની કંપનીનો કર્મચારી જ છે.

પેટા કંપનીઓ ખોલી ચિટિંગની માયાજાળ રચી : કર્મચારીઓને ડાયરેક્ટર બનાવ્યા !

અનિલ સ્ટાર્ચ કંપનીની અન્ડરમાં અનિલ ટ્રેડ કોમ, સિધૃધાર્થ કોન માર્ટ, અનિલ અગમાર્ટ, અનિલ બાયોપ્લસ અને અનિલ ન્યુટ્રીઅન્સ જેવી બીજી કેટલી પેટા કંપનીઓ ખોલીને અમોલ શેઠે ચિટિંગની માયાજાળ રચી હતી. અનિલ ટ્રેડ કોમમાં રોકાણ કરાવી 14.50 લાખના ચિટિંગની એક ફરિયાદમાં અમોલ શેઠ સાથે તેના એકાઉન્ટન્ટ શિવપ્રસાદ સિતારામ કાબરાની ધરપકડ કરાઈ છે. જ્યારે, 1.55 કરોડનું ચિટિંગ કરાયાની બીજી ફરિયાદમાં અનિલ સ્ટાર્ચ લિ.ના ચેરમેન અને સંચાલક અમોલ શ્રીપાલભાઈ શેઠ ઉપરાંત તેની પેટા કંપનીઓ અનિલ ટ્રેડ કોમ લિ.ના ડાયરેક્ટર સમ્પ્રતિ મહેન્દ્રકુમાર શેઠ, શાલીભદ્ર મહેન્દ્રભાઈ શેટ, શ્વેતા નામદેવ ઉપરાંત સિધૃધાર્થ કોનમાર્ટ પ્રા.લિ. કંપનીના સમ્પ્રતિ શેઠ, શાલીભદ્ર શેઠ, અન્ય ડાયરેક્ટર શિવપ્રસાદ સિતારામ કાબ્રા, મનિષ નરેન્દ્રભાઈ શેઠને આરોપી દર્શાવાયા છે.

Tags :