નવા ધંધા કરી રોકાણકારોના 300 કરોડ ડૂબાડનારા અમોલ શેઠ જેલમાં
પિતાના મૃત્યુ પછી અનિલ સ્ટાર્ચની શાખ ડૂબાડી
કોમોડિટી ટ્રેડિંગ, રેસ્ટોરન્ટની ચેઈન, ચીઝ, ડેરી પ્લાન્ટ, આયર્ન ઓર, પિસ્ટન ફેક્ટરી, મેગાફૂડ સહિતના ધંધામાં પાંચ જ વર્ષમાં ધોવાયો
અમદાવાદ : અનિલ સ્ટાર્ચના ચેરમેન અમોલ શેઠે બેન્કોને 750 કરોડ ઉપરાંત રોકાણકારોના 300 કરોડ ડૂબાડયા છે. 1000થી વધુ રોકાણકારોની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી ચૂકી છે ત્યારે એક ડઝન ગુનામાંથી પહેલી વખત પકડાયો છે તેવા અમદાવાદમાં 14.50 લાખના ચિટિંગના ગુનામાં અમોલ શેઠે જેલની હવા ખાવાનો વખત આવ્યો છે.
રિમાન્ડ પુરા થતાં આજે, ગુરૂવારે જેલહવાલે કરાયેલા અમોલ શેઠની આવતીકાલ, શુક્રવારે 1.55 કરોડના ચિટિંગના ગુનામાં ફરી ધરપકડ કરવાના ચક્રો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગતિમાન કર્યાં છે.
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, પિતાના મૃત્યુ પછી અમોલ શેઠે અલગ અલગ એકાદ ડઝન જેટલા નવા ધંધા શરૂ કરવા માટે પેટા કંપનીઓ ખોલી બેન્કોમાંથી લોનો લીધી હતી.
પાંચ જ વર્ષમાં એક પછી એક ધંધામાં ધોવાતા રહેલા ચેરમેન અમોલ શેઠે અનિલ સ્ટાર્ચની 80 વર્ષની સાખ ગુમાવી હતી. અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લા અને દેશના અન્ય રાજ્યોમાં ચિટિંગના દોઢેક ડઝન ગુના નોંધાઈ ચૂક્યા હોવાથી અમોલ શેઠે કાયદાકીય લડત આપવાનો વખત આવ્યો છે.
અમદાવાદના એક સમયના જાણીતા ઉદ્યોગગૃહ અનિલ સ્ટાર્ચના ચેરમેન અમોલ શેઠ પાંચ વર્ષથી કાયદાકીય લડતથી રોકાણકારોને ચકમો આપ્યા પછી આખરે સાબરમતી જેલમાં પહોંચ્યો છે. 14.50 લાખની છેતરપિંડીના ગુનામાં અદાલતે વધુ રિમાન્ડ ન આપતાં અમોલ શેઠ અને શિવપ્રસાદ કાબરાને જેલહવાલે કર્યા છે. અમોલ શેઠને 1.55 કરોડના ચિટિંગના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચ ફરી ધરપકડ કરશે.
ક્રાઈમ બ્રાન્ચે અમોલ શેઠના ચિટિંગની પદ્ધતિનો પૂર્ણરૂપે અભ્યાસ કરવા ઉપરાંત ખરેખર કેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી અને પોતે અંગત રીતે પૈસા ટ્રાન્સફર કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે તેમ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું.
પોલીસની તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, પિતાનું મૃત્યુ થતાં અમોલ શેઠે અનિલ સ્ટાર્ચનું ચેરમેનપદ સંભાળ્યું હતું. વર્ષ 2011થી અમોલ શેઠે સ્ટાર્ચના ધંધા ઉપરાંત અન્ય ધંધાઓ તરફ મીટ માંડી હતી.
અમોલે વર્ષ 2011થી 2016 સુધીમાં કોમોડિટી ટ્રેડિંગ કર્યું હોવાની પોલીસને મજબૂત શંકા છે અને એ દિશામાં તપાસ ચાલી રહી છે. આ સમયગાળામાં અમોલ શેઠે અમદાવાદ અને અન્ય સૃથળોએ અમેઝો નામની ફૂડ ચેઈનનું પ્લાનિંગ કરી શરૂઆત કરી હતી. પરંતુ, આ ધંધામાં ખોટ કરી હતી.
અમોલ શેઠે આ ઉપરાંત ચિઝ અને ડેરી પ્રોડક્ટસ બિઝનેશ, આર્યન ઓર, પિસ્ટન ફેક્ટરી, અનિલ લાઈફ સાયન્સ (છીંદવાડા), અનિલ બાયોપ્લસ, અનિલ ન્યુટ્રીન્સ, અનિલ મેગાફૂડ જેવા અનેક જુદા જુદા ધંધા પેટા કંપનીઓ ખોલીને શરૂ કર્યાં હતાં.
આ ધંધાઓ માટે અનિલ સ્ટાર્ચની સાખ ઉપર અમોલે બેન્કોમાંથી ધડાધડ લોનો મેળવી હતી. અંદાજે 750 કરોડની લોનો મેળવીને નવા-નવા ધંધા કર્યા હતા પરંતુ, એકપણ ધંધામાં ભલીવાર આવ્યો નહોતો.
બીજા ધંધામાં ધ્યાન કેન્દ્રિત કરવા જતાં અમોલ શેઠે વડવાઓએ મહેનત કરીને ઉભા કરેલા અનિલ સ્ટાર્ચના વ્યવસાયમાં પણ 80 વર્ષની સાખ ગુમાવી હતી. બેન્કોની તોસ્તાન લોનના હપ્તા ભરવા ઉપરાંત અઢળક ધંધા ચલાવવાન ખર્ચને પહોંચી વળવા માટે અમોલે લોકો પાસેથી રોકાણો મેળવવાના શરૂ કર્યા હતા. આવા 1000 રોકાણકારો પોતાના નાણાં ગુમાવી ચૂક્યાની વિગતો અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચ જાણી ચૂકી છે.
રોકાણકારોના કુલ 300 કરોડ અમોલે ડૂબાડયા હોવાની પાક્કી સંભાવના ક્રાઈમ બ્રાન્ચને છે અને આ માટેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. અમોલ શેઠે લોકોના પૈસે બેનામી મિલકતો વસાવી હોવાની આશંકાથી ક્રાઈમ બ્રાન્ચે ફાઈનાન્સિઅલ ઈન્ટેલિજન્સ યુનિટનો સંપર્ક સાધ્યો છે. એકંદર, ક્રાઈમ બ્રાન્ચ વિતેલા દાયદામાં અમોલ શેઠના આિર્થક કૌભાંડોના મૂળ સુધી પહોંચવાની દિશામાં કાર્યવાહી કરી રહી છે.