'આંતરરાષ્ટ્રીય સ્તર પર આર્થિક મંદી માટે ચીન સૌથી મોટું જવાબદાર છે'
એમ.એસ.યુનિ.માં અમેરિકાના ભૂતપૂર્વ કોંગ્રેસમેને ટ્રેડવોર પર કહ્યું
પર્યાવરણના ભોગે દરેક દેશ પોતાનો આર્થિક વિકાસ કરવા ઈચ્છે છેઃ પર્યાવરણના રક્ષણ માટે વૈશ્વિક નીતિ બનવી જોઈએ
વડોદરા, તા.3 ફેબ્રુઆરી 2020, સોમવાર
ચીન અને અમેરિકા વચ્ચેની ટ્રેડ વોરનો વિશ્વના દરેક દેશો પર પ્રભાવ પડી રહ્યો છે. ત્યારે આ વિશે અમેરિકાના ભૂતપૂર્વ કોંગ્રેસમેન એડવર્ડ રોયસે કહ્યું કે, ચીને અમેરિકા સાથે નિકાસ ઓછી કરતા આ ટ્રેડ વોરનો જન્મ થયો છે. હવે અમેરિકા પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી રહ્યું છે. ચીન હવે ભારતમાં સૌથી વધુ નિકાસ કરી રહ્યું છે તો ભારતે તેનો લાભ જરુર લેવો જોઈએ. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર આર્થિક મંદી માટે એકમાત્ર ચીન જ જવાબદાર છે. જો કે વિશ્વ વ્યાપાર સંગઠનના માધ્યમથી બંને દ્વિપક્ષીય વાતચીતથી જરુર સમાધાન લાવશે.
એમ.એસ.યુનિ.ની ઈન્સ્ટિટયૂટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ દ્વારા આયોજિત લેક્ચરમાં ભૂતપૂર્વ કોંગ્રેસમેન એડવર્ડ રોયસે 'ભારત અને અમેરિકાના સંબંધો' વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. ભારત વિશે તેમણે કહ્યું કે, આ દેશે ઉદારીકરણની નીતિને વધુ મહત્વ આપવું જોઈએ તેમજ આર્થિક સુધારાઓ માટે બજેટમાં બદલાવ લાવવાની ખૂબ જરુર છે. ભારત પાસે યુવાધન ખૂબ છે તો તેમની ક્ષમતાનો ઉપયોગ બજેટમાં કરવો જોઈએ. જો કે તેઓ પાકિસ્તાન અને કાશ્મીરના મુદ્દે મૌન રહ્યા હતા.
ક્રોસ બોર્ડર ટેરેરિઝમના મુદ્દા પર તેમણે કહ્યું કે, પડોશી દેશોએ એકબીજા સાથે યુધ્ધ કરીને લડવા કરતા સંવાદથી સમાધાન લાવવું જોઈએ. દરેક દેશ એજ્યુકેશન ક્ષેત્રે એટલું આગળ વધે કે તેનું યુવાધન અવડા માર્ગ પર આગળ ન વધે. સ્ત્રી એજ્યુકેશનને વધુ મહત્વ આપવું જોઈએ કારણકે સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સરખામણીએ વધી રહી છે અને આ જ સ્ત્રીઓ ભણ્યા પછી નોકરી કરીને સંપત્તિ વધારવામાં મદદગાર બનશે.
પર્યાવરણની ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, દરેક દેશ પર્યાવરણના ભોગે વિકાસ ઈચ્છી રહ્યા છે જેને કારણે પ્રદૂષણની માત્રા ખૂબ વધી રહી છે. પર્યાવરણના રક્ષણ માટે વિશ્વસ્તરે કોઈ એક ચોક્કસ પોલિસી બનાવવી જોઈએ જેને દરેક દેશોએ અનુસરવી જોઈએ. જર્મની કાર્બન ડાયોક્સાઈડ ઓછો કરવા ખૂબ પ્રયત્ન કરી રહ્યું છે જેમાંથી દરેકે શીખ લેવી જોઈએ.