અમદાવાદ- દિલ્હીની સ્પાઇસ જેટની ફ્લાઇટ રદ થતા 150 મુસાફરો રઝળી પડયા
- DGCA દ્વારા ૭૩૭- મેક્સ વિમાનોને ગ્રાઉન્ડ કરી દેતા
- ડોમેસ્ટિક એરપોર્ટ પરથી સાંજે દિલ્હી જતી આ ફ્લાઇટમાં એડવાન્સ બુકિંગ કરનાર મુસાફરોને પૂરેપૂરું રિફંડ અથવા બીજી ફ્લાઇટમાં વિકલ્પ અપાશે
અમદાવાદ, તા.13 માર્ચ, 2019, બુધવાર
તાજેતરમાં ઈથોપીયન એરલાઇનનું બોઇંગ ૭૩૭ મેક્સ ક્રેશ થતાં ૧૫૭ મુસાફરોના મોત થયા છે ત્યારે મુસાફરોની સેફ્ટીને લઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિશએનની (ડીજીસીએ) આજે મળેલી બેઠકમાં તાકીદે ભારતના એર સ્પેસમાંથી ઓપરેટ થતા ૭૩૭ મેક્સ પ્રકારના તમામ બોઇંગ વિમાનો ગ્રાઉન્ડ કરી દેવાનો આદેશ કર્યો છે.
જેમાં અમદાવાદથી દિલ્હી જતી સ્પાઇસ જેટની ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ ફ્લાઇટને આજે તાકીદે રદ કરાતા મુસાફરો રઝળી પડયા હતા અને તેમને બીજી ફ્લાઇટમાં દિલ્હી માટે રવાના કરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
ઈથોપીયન એરલાઇન્સનું જે વિમાન ટેક ઓફ થયાની છ મિનિટ બાદ તૂટી પડયું હતું જે ૭૩૭ મેક્સ એરક્રાફ્ટ હતું. આ ઘટના બાદ ગંભીર બનેલી ડીજીસીએ તાકીદે બેઠક બોલાવી હતી અને આદેશ કર્યો હતો કે ૭૩૭ મેક્સ વિમાનોમાં ટેકનિકલ ખરાબી છે કે કેમ, તેનું યોગ્ય સમયે મેઇન્ટેનન્સ થયું છે કે કેમ સુરક્ષાના કારણોસર તેની ચકાસણી નહી થાય ત્યાં સુધી આ તમામ એરક્રાફ્ટને ૧૩ માર્ચ સુધી ભારતીય એર સ્પેસમાં ટેકઓફ- લેન્ડીંગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં સ્પાઇસ જેટના ૧૪ વિમાનો તાકીદે કેન્સલ કરી તેની ઉડાનો રદ કરાઈ છે.
સ્પાઇસ જેટ અમદાવાદથી દિલ્હીના સેક્ટર માટે ૭૩૭ મેક્સ એરક્રાફ્ટનો ઉપયોગ કરતી હતી. અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી આજે સાંજે ૮-૨૫ વાગે દિલ્હી જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જેમાં ઓનબોર્ડ ૧૫૦થી વધુ મુસાફરો સવાર હતા.
આ તમામ મુસાફરોને બીજી ફ્લાઇટમાં રવાના કરાયા હતા. આવતીકાલે આ ફ્લાઇટ ટેકઓફ થશે નહી જેના કારણે એરલાઇન કંપની બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરશે. જો સંજોગવસાત નહિ થાય તો મુસાફરોને ફોન કરી જાણ કરી દેવાશે. તેમ એરલાઇન કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું.