ગુજરાતમાં 5,707 અને મહારાષ્ટ્રમાં 2,110 કરોડ ચુકવાયા
રાજ્યમાં 736 હેક્ટર જમીન સંપાદન થઇ ચૂકી છે પરંતુ મહારાષ્ટ્રમાં અધૂરી કામગીરી હોવાથી રેલવે કોર્પોરેશન અને એજન્સીઓ સક્રિય
ગાંધીનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ એવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી જટીલ બનેલી સમસ્યા હળવી થઇ છે. આ પ્રોજેક્ટ માટે રાજ્યમાં 100 ટકા જમીન સંપાદન પૂર્ણ થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારને રાહત થઇ છે પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદન પ્રક્રિયા હજી અધુરી હોવાથી ઝડપ કરાવવા માટે રેલવે કોર્પોરેશન અને અન્ય એજન્સીઓને કામે લગાડવામાં આવી છે.
ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે જરૂરી એવી 993.4 ટકા જમીન સંપાદન કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 736 હેક્ટર ખાનગી જમીન સંપાદન કરવીન હતી જે પૈકી માત્ર 6.6 હેક્ટર જમીન બાકી છે, જેમાં સુરત, વડોદરા, નવસારી, ભરૂચ અને અમદાવાદ જિલ્લામાં નાના પ્લોટ છે. આ જમીન સંપાદન પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ કરવામાં આવે તેવું જાણવા મળ્યું છે.
મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા પ્રથમ સૂચના જાન્યુઆરી 2018માં જારી કરવામાં આવી હતી. ખેડા, આણંદ અને વલસાડ જિલ્લામાં જમીન સંપાદન કાર્ય પૂર્ણ થયું છે.
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના આંકડા પ્રમાણે 31મી જાન્યુઆરી 2022 સુધીમાં ગુજરાતમાં પ્રોજેક્ટ અફેક્ટેડ 6110 લોકોને જમીન વળતર તરીકે 5707 કરોડ રૂપિયા ચૂકવાયા છે. આ પ્રોજેક્ટ માટે ભારત સરકાર દ્વારા નિર્ધારિત અગાઉની સમયમર્યાદા ડિસેમ્બર 2018 હતી, કે જેમાં કુલ 1025 હેક્ટર ખાનગી જમીન અને 145 હેક્ટર સરકારી જમીનનો સમાવેશ થાય છે.
હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બુલેટ ટ્રેન માટે કોરિડોર નિર્માણનું કામ પ્રગતિમાં છે જે પૈકી નવસારી અને વલસાડ જિલ્લામાં એલિવેટેડ કોરિડોર માટે થાંભલાનું બાંધકામ, સુરત સ્ટેશન અને સાબરમતી ટર્મિનલ હબનું નિર્માણ તેમજ નર્મદા અને મહી નદી પર બ્રીજનું બાંધકામ સામેલ છે.
બુલેટ ટ્રેનમાં આવતા દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશમાં 7.9 હેક્ટર જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થયું છે પરંતુ મહારાષ્ટ્રમાં હજી 24 ટકા જમીન સંપાદન કાર્ય બાકી છે.
પાડોશી રાજ્યમાં આ પ્રોજેક્ટ માટે 336 હેક્ટર ખાનગી અને સરકારી જમીન પૈકી 31મી જાન્યુઆરી સુધીમાં કુલ 256 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. આ જમીનમાં 56.13 હેક્ટર સરકારી જમીન છે. રેલ કોર્પોરેશને ગુજરાતમાં જે રીતે જમીન વળતર ચૂકવ્યું છે તેવું મહારાષ્ટ્રમાં પણ ચૂકવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1572 અસરગ્રસ્તોને 2110 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ઉપનગરીય મુંબઇમાં જમીન સંપાદન પ્રક્રિયા હજી શરૂ થવાની બાકી છે. 3.92 હેક્ટર ખાનગી અને 0.9 હેક્ટર સરકારી જમીનનું સંપાદન થયું નથી. બન્ને શહેરો વચ્ચેના 508.17 કિલોમીટરના રૂટના આ પ્રોજેક્ટનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2017માં થયો હતો.


