Get The App

યુનિ.માં ABVP કાર્યકરોએ ખુરશીઓ ઉછાળી, સિક્યુરિટી સાથે મારામારી

- NSUIએ પરીક્ષા રોકાવી, ABVP પ્રવેશ રોકાવશે ?

- ખુલ્લેઆમ ગાળાગાળી, કુલપતિની ગાડી પર ચડી હંગામો કરવાનો પ્રયાસ : કર્મચારીને માર્યો છતાં પોલીસ ફરિયાદ નહી

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
યુનિ.માં ABVP કાર્યકરોએ ખુરશીઓ ઉછાળી, સિક્યુરિટી સાથે મારામારી 1 - image


અમદાવાદ, તા. 14 જુલાઇ, 2020, મંગળવાર

ગુજરાત યુનિ.ની પ્રવેશ પ્રક્રિયામાં ખાનગી કોલેજના સભ્યો કમિટીમાંથી દૂર કરવા અને  પ્રવેશ એજન્સી બદલવા સહિતની માંગ સાથે છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કાર્યક્રમો કરતા એબીવીપીના કાર્યકરોએ આજે હદ હટાવતા કેમ્પસમાં વિરોધ દરમિયાન સિક્યોરિટીના માણસોએ રોકતા મારામારી કરી હતી અને ખુરશીઓ ઉછાળી હતી.જેમાં સિક્યુરિટી એજન્સીના એક માણસને થોડી ઈજા પણ થઈ હતી.

ગુજરાત યુનિ.દ્વારા હાલ કોમર્સ સહિતની વિવિધ કોર્સની સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી એબીવીપીના કાર્યકરો કુલપતિ સામે વિવિધ વિરોધ પ્રદર્શન-કાર્યક્રમો કરી રહયા છે.નનામી કાઢવાથી માંડી,મગજનું ઓપરેશન સહિતના કાર્યક્રમો કરવામા આવી રહ્યા છે અને યુનિ.ના મુખ્ય દરવાજા પર કુલપતિ-ઉપકુલપતિ સામેના સૂત્રો પણ કલરથી લખવામા આવ્યા છે.

દરમિયાન આજે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયો મુજબ  વિરોધ કાર્યક્રમ કરવા આવેલા એબીવીપના કેટલાક કાર્યકરોને સિક્યોરિટીના માણસોને રોકતા ભારે  ઝપાઝપી થઈ હતી અને વિદ્યાર્થી સંગઠનના  કાર્યકરોએ ઉશ્કેરાઈને હદ વટાવી દીધી હતી અને ગુંડાગીરી પર ઉતરી આવતા ખુરશીઓ ઉછાળી હતી તેમજ સિક્યુરિટીના માણસો પર હુમલો કરતા એકને ઈજા પણ થઈ હતી.

એટલુ જ નહી કુલપતિની ગાડીને કલરથી રંગવામા આવી હતી તેમજ ગાડી પર ચડી જઈ હંગામો મચાવ્યો હતો.ડ્રાઈવરે ગાડી ન રોકતા ખુલ્લેઆમ અપશબ્દો બોલી ગાળાગાળી કરી હતી.મહત્વનું છે કે આટલી મોટી ઘટના છતાં યુનિ.દ્વારા વિદ્યાર્થી નેતાઓ-કાર્યકરો સામે કોઈ પણ પોલીસ ફરિયાદ કરવામા આવી નથી.

જો કે અગાઉ થયેલી મારામારીની-ગાળાગાળી-કર્મચારી પર હુમલાની ઘટનામાં પોલીસ ફરિયાદો પણ સમાધાન પણ થઈ ગયા છે.જો કે યુનિ.ના સત્તાધીશોએ હવે કડકાઈથી વર્તવાની જરૂર છે.કારણકે એનએસયુઆઈએ ભારે હોબાળો અને હંગામો કરી  દબાણ વધારતા ગુજરાત યુનિ.એ તમામ તૈયારી બાદ પણ પરીક્ષાઓ રોકી દેવી પડી હતી ત્યારે હવે એબીવીપી પ્રવેશ રોકાવશે કે કેમ તે પ્રશ્ન છે?

એબીવીપીના કેટલાક કાર્યકરો છેલ્લા કેટલાક દિવસોથી પ્રવેશ સમિતિના સભ્યો બદલવાથી માંડી એડમિશન એજન્સી બદલવાની માંગ સાથે કુલપતિ સામે વિરોધ કાર્યક્રમો કરી રહ્યા છે અને હોબાળા કરી રહ્યા છે ,એટલુ જ નહી તાજેતરમાં તો એબીવીપીના કાર્યકરોએ એડમિશન કમિટી ખાતે પહોંચી હોબાળો કરતા મેરિટની પ્રક્રિયો રોકવી પડી હતી.

Tags :