સાણંદના મોડાસર ગામના પુરૂષે ઝાડ પર લટકી આત્મહત્યા કરી
- બાવળા તાલુકાના ભાયલા ગામની સીમમાં
- પ્રાથમિક તપાસમાં બેન્ક લોનના હપ્તા ન ભરી શકતા ૪૪ વર્ષીય પુરૂષે જીવન ટૂંકાવ્યાની જાણ થઈ
બગોદરા, તા. 26 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યાં છે ત્યારે બાવળા તાલુકાના ભાયલા ગામની સીમમાં ગળેફાંસો ખાઘેલી હાલતમાં એક પુરૂષની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જે અંગેની જાણ થતાં મૃતકના પરિવારજને બાવળા પોલીસ મથકે મૃત્યુ અંગે જાણ કરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા તાલુકાના ભાયલા ગામની સીમમાં આવેલ એક વૃક્ષ સાથે ગળેફાંસો ખાઘેલી હાલતમાં એક વ્યક્તિન લાશ મળી આવી હતી જે અંગેની જાણ આસપાસના લોકોને થતાં પોલીસને જાણ કરી હતી આથી બાવળા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ ગૌતમભાઈ પરષોત્તમભાઈ જાદવ ઉ.વ.૪૪, રહે.મોડાસર તા.સાણંદવાળા હોવાનું બહાર આવ્યું હતું અને આ અંગે મૃતકના પરિવારજન પરષોત્તમભાઈ લખાભાઈ જાદવે બાવળા પોલીસ મથકે જાહેર કર્યું હતું જેમાં મૃતક છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણના કારણે લીધેલ બેન્ક લોનના હપ્તા ભરી શકતા ન હોય પોતે જાતે જ ગળે દોરડું બાંધી લીંબડાની ડાળી સાથે લટકી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.