Get The App

ખેડાના કનેરા સીમમાં કારખાનાના શેડ બાબતે મારી નાખવાની ધમકી

Updated: Oct 17th, 2024

GS TEAM

Google News
Google News
ખેડાના કનેરા સીમમાં કારખાનાના શેડ બાબતે મારી નાખવાની ધમકી 1 - image

દલાલી પેટે શેડનું લોખંડ લઈ જવાનું નક્કી થયું હતું

ચાર જમીન દલાલોએ માર મારી ધમકાવતા ડરી ગયેલા જમીન માલિકની બે વર્ષ બાદ ફરિયાદ

નડિયાદ: ખેડા તાલુકાના કનેરા સીમમાં જમીન પર આવેલા કારખાનાનો શેડ રાખવાની વાત કરનાર પિતા, પુત્રને જમીન દલાલોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ શાલીગ્રામમાં રહેતા નિશેષ પ્રવીણભાઈ અગ્રવાલ સર્વે નંબર ૫૫૪ અને ૫૬૩માં પતરાનો શેડ તથા ધાબું ભરી જ્યુસની ફેક્ટરી તેમજ મશીનરી બનાવવાની ફેક્ટરી બનાવી હતી. આ બંને ફેક્ટરી ૨૦૧૪થી બંધ હતી. જેથી નિશેષ અગ્રવાલે જમીન વેચાણ કરવા જમીન દલાલો સાથે વાત કરી હતી. જેમાં દલાલી પેટે ૧૩ ટ ૧૦૦ શેડનું લોખંડ લઈ લેવાનું નક્કી થયું હતું. ત્યારબાદ જમીન માલિક તા.૧૩/૧૧/૨૨ના રોજ કનેરા સીમમાં આવેલ માંડણ કનુભાઈ રબારીની ઓફિસે ગયા હતા. ત્યારે તેઓએ બંને કારખાનાના શેડના લોખંડ રાખવાની વાત કરતા જમીન દલાલોએ ઉશ્કેરાઈ જઈ ગમે તેમ અપશબ્દો બોલી ગડદા પાટુનો માર માર્યો હતો તેમજ હવે પછી ખેડા કે કનેરા બાજુ આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી જમીન લે-વેચનો ધંધો કરતા માથાભારે દલાલોની ધમકીથી ડરી જઈ નાસી ગયા હતા. જે તે વખતે તેઓએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી. 

આ અંગે સબંધીઓ સાથે વાતચીત કરી ચર્ચા વિચારણા બાદ પોલીસ ફરિયાદ કરવા નિર્ણય લીધો હતો.  આ અંગે પોલીસ ફરિયાદ આપતા આ બનાવ અંગે નિશેષ પ્રવીણભાઈ અગ્રવાલની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે વિજયભાઈ માવજીભાઈ રબારી, અજયભાઈ લાલજીભાઈ રબારી, માંડણ કનુભાઈ રબારી તેમજ ગોવિંદભાઈ ઈશ્વરભાઈ રબારી જે નારણ ભુવાજીનો સંબંધી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.