વડોદરા, તા.18 છાણી વિસ્તારના વ્યાજખોર પ્રણવ ત્રિવેદી તેમજ તેના બે સાગરીતોએ ફેબ્રિકેશનના વેપારીને રૃા.૨૬.૭૩ લાખ વ્યાજે રકમ આપ્યા બાદ રૃા.૫૬.૮૯ લાખ પડાવ્યા હતા અને રૃા.૧૫ લાખ તેમજ મકાનનો દસ્તાવેજ કરાવવાની માંગણી કરી ધમકી આપી હતી.
શહેરના અમિતનગર સર્કલ પાસે ક્રિષ્ણાવેલી ડુપ્લેક્સમાં રહેતા ચિરાગ પ્રવિણચન્દ્ર પટેલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ફેબ્રિકેશન અને કન્સલ્ટીંગનો ધંધો કરું છું. વર્ષ-૨૦૧૭માં મને પૈસાની જરૃર હોવાથી મારા કાકાના પુત્ર ભાર્ગવ પટેલની ઓળખાણથી કોઠી વિસ્તારમાં આનંદપુરા ખાતેની જોષી બિલ્ડિંગમાં ફાઇનાન્સનો ધંધો કરતાં પ્રણવ ત્રિવેદી અને તેના પિતા રક્ષેસને મળી રૃા.૫.૪૦ લાખ દોઢ ટકાના વ્યાજે લીધા હતાં.
આ રકમ લીધા બાદ પ્રણવ તેમજ રક્ષેસ સાથે નિકટતા વધી હતી અને ટુકડે ટુકડે તેઓની પાસેથી કુલ રૃા.૨૬.૭૩ લાખ દોઢ ટકા વ્યાજે લીધા હતાં. વ્યાજ પેટે લીધેલી રકમની સામે સિક્યુરિટિ પેટે ૧૫૦ કોરા ચેક બેંકના આપ્યા હતાં. વ્યાજે લીધેલી રકમ બાદ મેં કુલ રૃા.૫૬.૮૯ લાખ રોકડ અને ચેકથી ચૂકવી દીધા હતાં. સપ્ટેમ્બર-૨૦૨૧માં મેં પ્રણવ ત્રિવેદી પાસે હિસાબ માંગતા તે ગુસ્સે થયો હતો અને ચેક રિટર્નની ફરિયાદ કોર્ટમાં કરી ફસાવી દેવાની ધમકી આપી હતી.
દિવાળી પહેલાં પ્રણવ અને તેનો માણસ ગૌરાંગ મિસ્ત્રી રાત્રે મારા ઘેર આવ્યા હતા અને પૈસા નહી આપો તો તમારી યંગ દીકરીને નુકસાન થશે તેવી ધમકી આપી હતી અને બીજા દિવસે હું જે સ્થળે રહું છું તે મકાનનું વેચાણ બાનાખત કરી આપવાની માંગણી કરી હતી. થોડા દિવસો પછી પોર ખાતે મારી ફેક્ટરી પર હું હતો ત્યારે પ્રણવ, ગૌરાંગ અને મયુર બોક્સર આવ્યા હતા અને રૃા.૧૫ લાખની માંગણી કરી મને માર માર્યો હતો. પ્રણવે મને અને ભાર્ગવને બરબાદ કરી નાંખવાની તેમજ ફેક્ટરી, ઘર વેચાવી દેવાની ધમકી પણ આપી હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે રાવપુરા પોલીસે તપાસ શરૃ કરી છે.


