વડોદરા,બે દિવસના ઘટાડા પછી આજે ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.ચોવીસ કલાક દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે ગઇકાલ કરતા ૮૫ ઓછા ટેસ્ટિંગ કર્યા હતા.કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા બાવીસ હજાર અને ક્વોરન્ટાઇન દર્દીની સંખ્યા ૧૫ હજારને પાર થઇ ગઇ છે.
કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઇને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોજ અલગ અલગ વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીગેટ,સવાદ,આજવારોડ,મકરપુરા,હરણી, એકતાનગર,વડસર,રામદેવનગર,શીયાબાગ, તરસાલી,કપુરાઇ,નવાપુરા,યમુનામીલ,મકરપુરા, માણેજા,સમા,અકોટા,ગોત્રી,ફતેપુરા અને દીવાળીપુરા વિસ્તારમાંથી કુલ ૧૨,૪૧૫ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી ૩,૮૦૨ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે સારવાર લેતા ૧,૪૫૭ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૨,૨૫૩ છે.જે સંખ્યા ગઇકાલે ૧૯,૯૧૦ હતી.આજે ૨૧,૭૨૧ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૫૩૨ છે.જ્યારે ગઇકાલે દાખલ દર્દીઓ ૫૩૮ હતા.વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ૨૯ છે.આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓ ૭૨ છે.જે સંખ્યા ગઇકાલે ૭૫ હતી.જ્યારે ઓક્સિજનના સપોર્ટ પરના દર્દીઓની સંખ્યા આજે ૪૩૧ છે.જે ગઇકાલે ૪૩૪ હતી.ગઇકાલે હોમ આઇસોલેશનના દર્દીઓની સંખ્યા ૧૩,૦૨૦ હતી.જે આજે વધીને ૧૫,૨૦૮ થઇ ગઇ છે.


