31મી ઓકટોબર ભારતના ઇતિહાસમાં મહત્ત્વનો દિવસ બનશે :મુખ્યમંત્રી
-સરદારના વિરાટ વ્યક્તિત્વ- બૂલંદ મિજાજને ઉજાગર કરતું સ્મારક
-સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે અંતિમ તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કર્યું
અમદાવાદ, તા.18 ઓકટોબર 2018,ગુરૂવાર
દક્ષિણ ગુજરાતમાં કેવડીયા ખાતે સરદાર સરોવર બંધના સ્થળે નિર્માણ પામી રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓ અને પ્રવાસન સુવિધાઓની થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કર્યું હતું. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ જે. એન. સિંહ પણ જોડાયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી રૃપાણીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને શોભે એવા વિશ્વના અજોડ અને ભવ્યત્તમ સ્મારક નિર્માણનો વડાપ્રધાન મોદીનો સંકલ્પ સાકાર થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી લોખંડી પુરુષના પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વની દેશ અને દુનિયાને પ્રતિતિ કરાવશે. સરદારના વિરાટ વ્યક્તિત્વ અને બૂલંદ મિજાજને ઉજાગર કરતું આ અનેરૃ સ્મારક દેશવાસીઓને સદીઓ સુધી પ્રેરણા આપશે.
સરદારની પ્રતિમા, વિવિધ રાજ્યોના ગામોની માટીથી તૈયાર થનારા લેન્ડસ્કેપ વોલ ઓફ યુનિટી તેમજ ૧૭ કિ.મી. લાંબી અને ૨૩૦ હેકટરમાં ઉભી થયેલી વેલી ઓફ ફ્લાવરનું જાત નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત ટેન્ટ સિટી, એક ભારત- શ્રેષ્ઠ ભારત ભવન સાઇટ, ફુડ કોર્ટ, સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝિયમ, વિઝીટર્સ સેન્ટર વગેરે સ્થળની મુલાકાત લઇ અધિકારીઓ પાસેથી ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરીને જરૃરી સૂચનાઓ આપી હતી.
અત્રે નોંધનીય છે કે સરદાર સરોવર ડેમથી ત્રણ કીલોમિટર દૂર નર્મદા નદીના પટમાં સાધુ બેટ પર આ પ્રતિમા બની રહી છે.