પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કોર્પોરેશન દ્વારા ૩૧૭૯૧ લાભાર્થીઓને લોન અપાઇ
ફેરિયા અને લારીગલ્લાના ધંધાર્થીને હવેથી ૫૦ હજાર સુધીની લોન અપાશે
વડોદરા, તા.26 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરીયાઓ માટે સ્વનિધિ મહોત્સવનું આયોજન આજરોજ સયાજીરાવ નગરગૃહ અકોટા ખાતે કરવામાં આવ્યું હતું.
કોરોનાની વૈશ્વિક મહામારીમાં નાના શેરીફેરિયાઓ અને ધંધો રોજગાર કરતા લારી ગલ્લાના વેપારીઓના ધંધા રોજગાર પર માઠી અસર પડતા આ વેપારીઓને ફરી પગભર બનાવવાના હેતુથી પી.એમ. સ્વનિધિ યોજના લોન્ચ કરવામાં આવી છે. રૃા.૧૦ હજાર અને રૃા.૨૦ હજારની લોમ મળી રહે તે માટે સમગ્ર ભારતમાં ઝુંબેશ શરૃ કરવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી ૨૬,૬૩૯ જેટલા લાભાર્થીઓને રૃા.૧૦ હજારની અને ૫,૧૫૨ જેટલા લાભાર્થીઓને રૃા.૨૦ હજારની લોન આપવામાં આવી છે. હાલ ૨૧,૬૬,૮૭૦ જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઇ ચુક્યા છે, તેમ આ પ્રસંગે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું.
વડોદરાના મેયરે જણાવ્યું હતું કે પી.એમ. સ્વાનિધિ યોજના અંતર્ગત ૧૦ હજારની અને ૨૦ હજારની લોન આપવામાં આવી રહી છે ઉપરાંત હવેથી રૃા.૫૦,૦૦૦ સુધીની લોન પણ આપવામાં આવશે. હાલમાં લોન માટેના લાભાર્થીઓમાંથી ૯૯% લાભાર્થીઓને લોન આપી દેવામાં આવી છે. ડિજિટલ માધ્યમથી ચુકવણુ કરવામાં આવશે તો દર મહિને રૃ.૧૦૦ લેખે ૧૨ માસના રૃા.૧૨૦૦ નું કેશબેક મળશે.