ગુજરાતમાં 270 નારી અદાલતોને અભૂતપૂર્વ સફળતા મળી છે
- રાષ્ટ્રીય મહિલા આયોગ અને સીઆઇડી ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે ‘જેન્ડર સેન્સીટાઈઝેશન’ અંગે સેમિનાર
ગાંધીનગર, તા. 27 ઓગસ્ટ 2019, મંગળવાર
રાષ્ટ્રીય મહિલા આયોગ અને સીઆઇડી ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાત પોલીસ અકાદમી કરાઇ, ગાંધીનગર ખાતે ‘જેન્ડર સેન્સીટાઈઝેશન (લિંગ સંવેદનશીલતા)’ વિષય ઉપર એક દિવસીય સેમિનાર યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન દૂરંદેશી સરકાર મહિલા સુરક્ષાની બાબતમાં જરાય ચલાવી લેવા માગતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 181 અભયમ હેલ્પલાઇન લોન્ચ કરવામાં આવી હતી. તબક્કાવાર આ હેલ્પ લાઈનને અપગ્રેડ કરવામાં આવી અને તાજેતરમાં જ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેને ડિજિટલ સ્વરૂપ આપી મોબાઈલ એપ કાર્યરત કરાવી છે. સતત અવેરનેશ પ્રોગ્રામ કરીને રાજ્યની મહિલાઓને જાગૃત કરાતા હવે મહિલાઓ મુશ્કેલીના સમયે આયોગનો સંપર્ક કરતી થઈ છે જેના પરિણામે અત્યાર સુધીમાં 52 લાખ મહિલાઓએ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આ હેલ્પલાઇનની મદદ લીધી છે.
શ્રીમતી અંકોલિયાએ વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત મહિલા આયોગની હેલ્પલાઇન 1800-233-1111 પણ કાર્યરત છે. તેના દ્વારા અત્યાર સુધીમા 18 હજારથી વધુ મહિલાઓને સમયસર મદદ કરવામાં આવી છે અને તેમનું કાઉન્સલીંગ પણ કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે દરેક તાલુકાકક્ષાએ નારી અદાલત શરૂ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. મહિલાઓને મુશ્કેલી કે હાલાકીનો સામનો ન કરવો પડે અને ફરિયાદ કરવામાં સંકોચ ન થાય તે માટે દરેક તાલુકાકક્ષાએ નારી અદાલત બનાવવાના વિચારને તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મંજૂરી આપી હતી.
હાલ રાજ્યમાં 270 નારી અદાલતો કાર્યરત છે અને તેમાં 400 જેટલી મહિલાઓને નોકરી આપી રોજગારી પણ પૂરી પાડવામાં આવે છે. 33 એડવોકેટ પણ મહિલાઓને જરૂરી કાનૂની માર્ગદર્શન આપવા માટે સેવારત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગર્વની વાત એ છે કે હવે આ નારી અદાલતનો કન્સેપ્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશભરમાં અમલી કરાવીને ગુજરાતના આ પ્રોજેક્ટને દેશના ફલકે પહોંચાડશે. નોંધનીય બાબત એ છે કે ગુજરાતમાં નારી અદાલતને 97 ટકા જેટલી અભૂતપૂર્વ સફળતા મળી છે.
રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં અવેરનેશ સેમિનાર યોજીને 40,000 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવ્યા છે. મહિલાઓને તેમના અધિકારો અને કાયદાનું જ્ઞાન આપવામાં આવ્યું છે. જેને પરિણામે જાગૃતતા આવી છે અને મહિલાઓ તેમની પર થતા અત્યાચારો બાબતે ફરિયાદ કરતી થઈ છે. શ્રીમતી અંકોલિયાએ આ પ્રસંગે પોલિસે કેવી રીતે મહિલા અરજદારો સાથે વ્યવહાર કરવો અને શું ધ્યાન રાખવું તે સહિતની બાબતો પર પણ માર્ગદર્શન આપ્યું હતું.
મહિલાઓને લગતા મુદ્દાઓમાં સંવેદના દાખવવી અને પોલીસ અધિકારી કર્મચારીઓએ શું કાળજી રાખવી તે સહિતની બાબતો પર માર્ગદર્શન આપી ‘એસેસીબિલિટી ઓફ પોલીસ ટુ જનરલ પબ્લિક’, ‘સેકસ્યૂઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ, ‘હોલિસ્ટિક એપ્રોચ ટુ જેન્ડર સેન્સિટાઈઝેશન’ અને ‘પોલિસ સેન્સિટાઈઝેશન વાઈલ્ડ હેંડલિંગ રેપ વિકટીમ્સ’ સહિતના વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.