ઉચ્ચ શિક્ષણ આપતી ૨૫૦૦૦ જેટલી સંસ્થાઓનું નેક એક્રેડિટેશન થયું જ નથી
વડોદરા,તા.29.જાન્યુઆરી,બુધવાર,2020
એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચન આપવા માટે આપેલા યુજીસી( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના ચેરમેન પ્રો.ધિરેન્દ્ર પાલ સિંઘે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, દેશમાં ઉચ્ચ શિક્ષણ આપતી તમામ સંસ્થાઓનુ નેક એક્રેડિટેશન થાય તે માટે પ્રયત્ન કરાઈ રહ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, દેશમાં ઉચ્ચ શિક્ષણ આપતી ૪૦૦૦૦ જેટલી યુનિવર્સિટીઓ અને કોલેજો છે .આ પૈકી ૨૫૦૦૦ સંસ્થાઓ હાલમાં એક્રેડિટેશન વગરની છે.આમાંથી ઘણી સંસ્થાઓ આત્મ વિશ્વાસ અને તૈયારીઓના અભાવે એક્રેડિટેશન માટે અરજી કરતા પણ ખચકાય છે.આ બાબતને ધ્યાનમાં રાખીને મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ કરાયો છે.જેના ભાગરુપે એક્રેડિટેશન મેળવી ચુકેલી સંસ્થાઓ એક્રેડિટેશન વગરની સંસ્થાના મેન્ટર તરીકે એક્રેડિટેશન મેળવવામાં મદદ કરશે.
પ્રો.સિંઘે કહ્યુ હતુ કે, વિશ્વ સ્તરે ટોચની યુનિવર્સિટીઓમાં ભારતની સંસ્થાઓને સ્થાન મળે તે માટે સરકારે ઈન્સ્ટિટયુટ ઓફ એમિનન્સ નામની યોજનાને અમલમાં મુકી દીધી છે.આ યોજનાના ભાગરુપે ૧૦ ખાનગી અને ૧૦ ગ્રાન્ટેડ એમ ૨૦ યુનિવર્સિટીઓને પસંદ કરાઈ છે.સરકાર અને યુજીસી તરફથી તેમને તમામ પ્રકારની સ્વતંત્રતા આપવાની સાથે ૧૦૦૦ કરોડનુ ફંડ પણ ફાળવવામાં આવનાર છે.
તેમણે એક પ્રશ્નના જવાબમાં એમ પણ કહ્યુ હતુ કે, સરકારે ઉચ્ચ શિક્ષણ માટેના બજેટમાં વધારો કરવો જોઈએ.કોઈ પણ સરકારના એજન્ડામાં શિક્ષણને પ્રાથમિકતા મળવી જોઈએ.