કરજણના ખાંધા ગામે વાંદરાનું નામ પડતાં જ લોકો ઘરમાં ઘૂસી જાય છે,વાંદરાનાે ૨૫ ગ્રામજનો ઉપર હુમલો
વડોદરા,તા.16 જાન્યુઆરી,2020,ગુરૃવાર
કરજણની સિવિલ હોસ્પિટલ પાસે વાંદરના હુમલાના કારણે દર્દીઓમાં ભારે ખોફ ફેલાયો હોવાના બનાવ બાદ હવે ખાંધા ગામે વાંદરાના આતંકથી ગ્રામજનો પરેશાન થઇ ગયા છે.
ખાંધા ગામે છેલ્લા કેટલાક સમયથી વાંદરો એકલદોકલ ગ્રામજન ઉપર હુમલો કરી રહ્યો છે.વાંદરાના હુમલાના કારણે કેટલીક મહિલાઓ પણ ઇજાગ્રસ્ત થઇ છે.જ્યારે,કેટલાક ઇજાગ્રસ્તને સાત થી આઠ ટાંકા પણ લેવા પડયા છે.
છેલ્લા વીસ દિવસથી ગ્રામજનો વાંદરાના ત્રાસના કારણે તલાટી,સરપંચ, તાલુકા પંચાયત અને ફોરેસ્ટ વિભાગ સમક્ષ રજૂઆત કરી રહ્યા છે.પરંતુ વાંદરાનો આતંક જારી રહ્યો છે.ફોરેસ્ટ વિભાગે વાંદરાને પકડવા માટે પાંજરા પણ મુક્યા છે.પરંતુ તેમ છતાં વાંદરાને પકડવામાં સફળતા મળી નથી.
ગ્રામજનોનું કહેવું છે કે,વાંદરો વડવાળા ફળિયા,સ્કૂલવાળા ફળિયા અને પાટણવાડિયા ફળિયામાં વધુ પડતો જોવા મળે છે અને પાછળથી જ હુમલો કરે છે.ફોરેસ્ટનો સ્ટાફ પણ વાંદરાને પકડવા આવે છે પણ થોડી વારમાં જ તેઓ ખાલી હાથે પરત જતા રહે છે.
બૂમ પડતાં જ લોકો ઘરમાં દોડી જાય છે
ખાંધા ગામે વાંદરાના ત્રાસથી લોકો એટલા ડરી ગયા છે કે,વાંદરાના હુમલાની કોઇ બૂમ પાડે એટલે લોકો દોડીને ઘરમાં ઘૂસી જતા હોય છે.ક્યારેક યુવકો લાકડીઓ લઇને બહાર નીકળે છે.પરંતુ વાંદરો હાથમાં આવતો નથી.
લગ્નના ઘરમાં મહિલાને બચકું ભર્યું,જાન આવવાની હોવાથી લોકોને ચિંતા
ખાંધા ગામના યુવક રવિન્દ્રસિંગે કહ્યું હતું કે,અમારા ગામમાં દીકરીના લગ્ન છે અને જે ઘરમાં લગ્ન છે તે ઘરની મહિલાને ગઇકાલે વાંદરાએ બચકું ભર્યું છે.કાલે જમણવાર અને જાન આવવાની છે ત્યારે ગ્રામજનોની ચિંતા વધી ગઇ છે.