ગુજરાતમાં નોંધાતા કેન્સરના કુલ કેસમાંથી 21.5 ટકા પુરૂષોમાં મોઢાનું, 31.2 ટકા સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર
અમદાવાદ : 'કેન્સર' આ નામ પડતાં જ કઠણ કાળજું ધરાવતી વ્યક્તિ પણ થોડી ક્ષણ માટે ભય અનુભવવા લાગે છે. ગુજરાતમાંથી જ દરરોજ સરેરાશ કેન્સરના 192થી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરના 50 ટકા દર્દીઓમાં ગર્ભાશયના મુખ (સર્વાઇકલ), સ્તન (બ્રેસ્ટ) અને મોઢા(ઓરલ)નું કેન્સર જોવા મળ્યુ છે.
આવતીકાલે 'વિશ્વ કેન્સર દિવસ' છે ત્યારે કેન્સરના વધતાં જતાં કેસ ચિંતા સમાન છે. જોકે, રાહતની વાત એ છે કે અદ્યતન મેડિકલ સાયન્સના આશિર્વાદથી કેન્સરથી સાજા થતાં દર્દીઓના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના તાજેતરના આંકડા પ્રમાણે સમગ્ર વિશ્વમાં વર્ષ 2020માં 1 કરોડ 93 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા છે. જેમાં 99 લાખ જેટલા દર્દીઓનું મૃત્યુ પણ થયું છે.
ગ્લોબોકેનના એક અંદાજ પ્રમાણે 2030 સુધીમાં અંદાજે 2 કરોડ 15 લાખ જેટલા કેસ નોંધાશે. ભારતમાં દર એક લાખની વસ્તીએ 70 થી 90 જેટલા કેન્સરના દર્દીઓ જોવા મળે છે. ગ્લોબોકેનના વર્ષ 2020ના આંકડા પ્રમાણે ભારતમાં 13 લાખ કેસ જોવા મળ્યા. જે આંકડો 2030માં વધીને 15 લાખે પહોંચશે તેમ ગ્લોબોકેન રીસર્ચનું માનવું છે.
આઇસીએમઆરના વર્ષ 2021ના અહેવાલ પ્રમાણે દેશમાં વર્ષ 2020માં 13.92 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ 3.77 લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થયા હોવાનું સામે આવ્યું છે.
ભારતમાં દર 8 મિનિટે 1 ીનુ મ્રૂત્યુ ગર્ભાશયના મુખના કેન્સર અને દર 13 મિનિટે 1 સ્ત્રીનુ મૃત્યુ સ્તનના કેન્સરના કારણે થાય છે. ગુજરાતમાં વર્ષ 2020માં 69660 નવા કેસ નોંધાયા હતા, જે વર્ષ 2025 સુધીમાં 79217 થવાનો અંદાજ છે. અમદાવાદ શહેરી કેન્સર રજીસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે પુરૂષોમાં તથા સ્ત્રીઓમાં દર એક લાખની વસ્તીએ અનુક્રમે 98 અને 77 નવા કેન્સર કેસ જોવા મળે છે.
અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 20,000 જેટલા કેન્સરના નવા કેસ નોંધાય છે, જેમાંથી 28.84% દર્દી અન્યમાંથી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે. (રાજસ્થાન- 12%, મધ્ય પ્રદેશ- 11.4%, મહારાષ્ટ્ર-1%). GCRIમાં આવતા કુલ કેસમાંથી 50% દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરના નોંધાય છે.
ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરમાં 21.5 ટકા પુરૂષોમાં મોઢાનું કેન્સર જ્યારે સ્ત્રીઓમાં 31.2 ટકા સ્તનનું કેન્સર જોવા મળે છે. રાજ્યના બજેટમાં છેલ્લા બે વર્ષમાં દર વર્ષે અંદાજીત 104 કરોડના અનુદાનની કેન્સરક્ષેત્રમાં વિવિધ સારવાર અને આધુનિક તકનીકી સુવિધાઓ માટે જોગવાઇ કરીને કેન્સર સામેની લડતમાં પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો છે.
કોરોના કરતાં કેન્સરથી વધારે મૃત્યુ
ગુજરાતમાં કોરોના કરતાં કેન્સરથી વધુ લોકોના મૃત્યુ થાય છે. એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પાંચ વર્ષમાં 1.86 લાખ વ્યક્તિના કેન્સરથી મૃત્યુ થયા છે. જેમાં 2018માં સૌથી વધુ 40873 વ્યક્તિએ કેન્સર સામે જીવન ગુમાવ્યું હતું. તજજ્ઞાોના મતે કેન્સરને હરાવવા માટે તેનું તાકીદે નિદાન કરાવવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત લાઇફ સ્ટાઇલમાં સુધારો, તમાકુ-દારૂનું સેવન નહીં કરવાથી કેન્સરને આપણાથી અળગો રાખી શકાય છે.
લીલા શાકભાજી, ફ્રૂટના ઓછા સેવનથી કેન્સરના કેસમાં વધારો
રાજ્યના 15 થી 49 વર્ષના પુરૂષ અને સ્ત્રીઓમાં હાથ ધરાયેલ સર્વે પ્રમાણે દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓ, અઠવાડિયામાં ફક્ત એક જ વખત લીલા શાકભાજી ખાતા હતા જ્યારે 89.5 ટકા પુરૂષો અને 89.8 ટકા સ્ત્રીઓ, જ્યારે ફક્ત એક જ વખત ફળનું સેવન કરતા હતા. 44.6 ટકા પુરૂષો અને 52.3 ટકા સ્ત્રીઓ, ગૃહીણીઓમાં રસોડામાં ચૂલાના ઉપયોગથી થતા ઘુમાડાથી 38 ટકા ,જ્યારે વધુ વજન અથવા મેદસ્વિપણાથી 19.9 ટકા પુરૂષો અને 22.6 ટકા સ્ત્રીઓ, હાયપર ટેન્સનથી 20.3 ટકા પુરૂષો અને 20.6 ટકા સ્ત્રીઓ અને ડાયાબિટીસથી 16.9 ટકા પુરૂષો અને 15.8 ટકા સ્ત્રીઓમાં કેન્સર થવાનું રિસ્ક અંશત: વઘુ જોવા મળ્યુ છે.


