(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
સરકારે નવી ટી.પી. સ્કીમમાં ૧૮ મીટરથી નાના રસ્તાઓ કરવા જ ન જોઈએ. તેમ કરવાથી એક સમાન હાઈટ્સના મકાનો બની શકશે. તેમ જ વટકલ ગ્રોથ માટેનો માર્ગ ખુલ્લો થશે. અત્યારે ૪૦ ફૂટના રોડ પર ૧૦ માળના મકાનો બનાવવાની છૂટ આપવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં વટકલ ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે તમામ ટી.પી. સ્કીમમાં નાનામાં નાનો રોડ ૧૮ મીટરનો એટલે કે અંદાજે ૫૫થી ૬૦ ફૂટની આસપાસના જ રસ્તાઓ મંજૂર કરવા જોઈએ. ૧૮ મીટરના રોડ રાખશે તો આવનારા વરસોમા૪૫ મીટરના એટલે કે ૧૪ માળના મકાનો બનતા થશે. તેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં પણ આ પ્રકારના જ રસ્તાઓ બનાવ્યા છે.
અમદાવાદમાં પણ આ જ ધોરણે ૧૮ મીટરના રસ્તાઓ બનાવે તો સુન્દર અને આકર્ષક શહેરો બનશે. આમ તો ટી.પી. સ્કીમમાં ૪૦ ટકા જમીન કપાતમાં લે છે. તેમાંથી ૨૨-૨૩ ટકા જમીનમાં રસ્તા, બગીચા, સ્કૂલ સહિતની માળખાકીય સુવિધા માટે વપરાય છે. સરકાર પાસેથી ૧૦ ટકા જમીન પડી રહે છે. તે બજાર ભાવે વેચે છે. તેમાંથી બચી રહેતી જમીનમાં એન્ક્રોચમેન્ટ થઈ જાય છે. આમ બચતી જમીનને ધ્યાનમાં લેતા ૧૮ મીટરના રસ્તા બનાવશે તો ભવિષ્યનું અમદાવાદ વધુ સુન્દર બનશે. તેમ જ પ્રોજેક્ટ કોસ્ટ નીચે આવશે.
પહેલા માળે અને ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ કે હોસ્પિટલ કરવાનો નિયમ કરવામાં આવી રહ્યો છે. નેશનલ બિલ્ડિંગ કોડમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ૩૦ મીટર સુધીના બિલ્ડિંગમાં કોઈપણ માળે હોસ્પિટલ કરી શકાય છે. ફાયર પોલીસી હેઠળ માત્ર ગ્રાઉન્ડ ફ્લોર કે પછી ફર્સ્ટ ફ્લોર પર જ હોસ્પિટલ રાખવી તેવો આગ્રહ ફાયર પોલીસી હેઠળ રાખવો ઉચિત ન હોવાનું બિલ્ડર લોબીનું કહેવું છે. કારણ કે ગ્રાઉન્ડ ફ્લોર પર ક્રોસ ઇન્ફેક્શનની શક્યતા વધારે છે. તેમ જ પહેલા માળે પણ નોઈઝ પોલ્યુશનની ખાસ્સી અસર આવે તેવી સંભાવના રહેલી છે. આ સંજોગોમાં ફાયર પોલીસીમાં હોસ્પિટલ આઈસીયુ કરવા માગતા હોય તેમણે પહેલા માળે અને ગ્રાઉન્ડ કરવાની ફરજ પાડવાની સરકાર દરખાસ્ત અનુચિત છે. વાસ્તવમાં હાઈજિનની દ્રષ્ટિએ ચોથો પાંચમો કે અગિયારમાં માળ કે વધુ ઉપરના માળ આઈસીયુ માટે અનુકૂળ હોવાનું ક્રેડાઈ ગાહેડના પ્રમુખ તેજશ જોશીનું કહેવું છે. કારણ કે ઉપરના મજલાઓ પર ક્રોસ ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઓછી છે. તેમ જ નોઈઝ પોલ્યુશનની તકલીફ પણ ઓછી થઈ શકે છે. નેશનલ બિલ્ડિંગ કોડમાં પણ ઉપરના મજલાઓ પર હોસ્પિટલ્સ અને આઈસીયુ કરવાની છૂટ આપવામાં આવેલી છે.
સરકાર જીડીસીઆરમાં પણ ચેન્જ લાવી રહ્યા છે. ફાયર ન લાગે અને લાગે ત્યારે બચાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે પણ જોવામાં આવી રહ્યું છે. માજનની અંદર ફરજિયાત પ્લાન્ટેશન કરવાની ફરજ પાડે છે. પરંતુ તેને કારણે મકાનમાં અંદર પ્રવેશવામાં ફાયર બ્રિગેડને તકલીફ પડે છે. ફાયર પોલીસીમી સરકાર ૧૫ મીટરને બદલે ૨૫ મીટરથી એટલે કે સાત માળથી ઊંચા મકાનમાં બે પગથિયા કરવાનો નિયમ દાખલ કરી રહી છે, પરંતુ બિલ્ડર લોબીની અપેક્ષા ૩૦ મીટરની કરી આપવાની છે.
અમદાવાદમાં અત્યારે ૨૫ મીટર કરતાં ૩૦ મીટરના જ એટલે કે દસ માળના મકાનો વધુ બની રહ્યા છે. ૪૦ ફૂટના રોડ પર પણ ૩૦ મીટરના મકાનો બનાવવાની છૂટ આપવામાં આવી રહી છે. તેથી દસ માળના મકાનો માટે જ બે સીડીની જોગવાઈ લાવવી જોઈએ. જીડીસીઆરમાં પણ ૩૦ મીટરની જોગવાઈ છે. ૨૫૦૦ મીટરથી મોટો પ્લોટ હોય તેમાં બે સીડી કરવી જોઈએ. તેનાથી નાના પ્લોટમાં એક જ ટાવર થવાની શક્યતા છે. તેમાં બે સીડી કરવામાં આવે તો પ્રોજેક્ટની વાયેબિલીટી રહેશે નહિ. બે સીડી વચ્ચેના ડિસ્ટન્સ રાખવાની પણ શરત રાખવી જોઈએ. ૨૫૦૦ મીટરથી મોટા પ્લોટમાં જ બે સીડી રાખવાની જોગવાઈ હોય તો ચાલી શકે છે.બીજું, જૂના બંધાવાના શરૃ થઈ ગયેલા મકાનોને આ નીતિ લાગુ પડશે નહિ. પરિણામે ચાલી રહેલા પ્રોજેક્ટને તકલીફ પડશે નહિ. નીચા મકાનમાં બે સીડી લગાવવાને કારણે પ્રોજેક્ટની કોસ્ટ ઊંચી જશે. એફોર્ડેબલ હાઉસિંગના ભાવ ૫ લાખ વધી જશે. એક જ ટાવર હોય તેવા કિસ્સામાં બે સીડી બનાવવાનું ફરજિયાત ન કરવું જોઈએ.


