Get The App

યુવાનીમાં જ મગજ બહેર મારે તો શું કરવું?

- સ્મરણ શક્તિ સારી રાખવા માટે પૂરતી ઊંઘ લેવી આવશ્યક છે

- ધડ-માથા વગરની સિરિયલો જોવાથી તમારું મગજ બહેર મારી જશે

Updated: Sep 15th, 2017

GS TEAM

Google News
Google News
યુવાનીમાં જ મગજ બહેર મારે તો શું કરવું? 1 - image
અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2017, શુક્રવાર 
 
છેલ્લાં ઘણાં સમયથી માત્ર પ્રૌઢો કે વૃદ્ધોના જ નહીં, યુવાનોના મોઢે પણ એમ સાંભળવા મળે છે કે 'મગજ બરાબર કામ નથી કરતું', 'ભૂલી જવાય છે', 'યાદ નથી રહેતું.' આ પરિસ્થિતિ ખરેખર ચોંકાવનારી  છે. વધતી જતી ઉંમરે સ્મરણ શક્તિ ક્ષીણ થઈ જાય ત્યારે આવું બને તે સ્વાભાવિક ગણી શકાય પરંતુ યુવાવસ્થામાં બુદ્ધિ બહેર મારી જાય તે શી રીતે ચાલે?  
 
યુવાવસ્થામાં માનસિક સ્થિતી આવી થવા પાછળના કારણો જણાવતાં નિષ્ણાતો કહે છે કે આજે યુવા પેઢી વધારે પડતું ટીવી જુએ છે કે ઓનલાઈન આવતી નકામી માહિતી પાછળ સમય વેડફે છે. તેઓ આવા કાર્યક્રમો પાછળ રાતની નીંદર બગાડે છે. તેમની ખાવાપીવાની આદતોમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. કસરત કરવાનો તેમને કંટાળો આવે છે.
 
વાંચવાનું તેમને બહુ ગમતું નથી. અને મગજને કસરત મળે એવી ગેમ રમવા સાથે તો તેમને કાંઈ લાગતું વળગતું જ ન હોય એવો માહોલ જોવા મળે છે. યુવા પેઢી ઈચ્છતી હોય કે તેમનું મગજ એકદમ સરસ રીતે કામ કરે, તેમને બધું ઝડપથી યાદ રહી જાય અને તે તેમના મગજમાં કાયમ માટે અંકિત થઈ જાય તો કેટલાંક નિયમો પાળવાં આવશ્યક છે.
 
સૌથી પહેલાં તે જંક ફૂડ છોડીને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામીનયુક્ત પૌષ્ટિક આહાર લો. મગજ સારી રીતે કામ કરે તેને માટે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ અત્યંત આવશ્યક છે.
 
સ્મરણ શક્તિ સારી રાખવા પૂરતી નિંદ્રા ફરજિયાત છે. તમે જ્યારે શાંતિથી ઊંઘી જાઓ છો ત્યારે તમારા મગજને આરામ મળે છે. દિવસભર બુદ્ધિનો ઉપયોગ કરવો પડે એવું કામ કર્યા પછી મગજ થાકી જાય છે. તેથી તેને પણ આરામની જરૃર પડે છે. અલબત્ત, સાતથી આઠ કલાકની નીંદર પૂરતી છે. વધારે પડતી ઊંઘ પણ મગજને સુસ્ત બનાવી દે છે.
 
ક્રોસવર્ડ, પઝલ, સુડોકુ જેવી ગેમ રમવાથી મગજને કસરત મળે છે અને તે સ્ફૂર્તિથી કામ કરે છે.
વાંચન મગજનો ખોરાક છે. ગુણવત્તાસભર વાંચનથી મળતું જ્ઞાાન મગજને કાર્યરત રાખે છે પરિણામે તમારી સ્મરણ શક્તિ ખીલેલી રહે છે. માત્ર છાપુ વાંચીને બેસી રહેવાને બદલે નિયમિત રીતે સારાં પુસ્તકો વાંચો.
 
રોજ રાત્રે ટી.વી. સામે બેસીને ધડ-માથા વિનાની સિરિયલો જોવાથી તમારું મગજ બહેર મારી જશે. જો તમે એમ માનતા હો કે થોડીવાર સિરિયલ જોઈને તમે રિલેક્સ થાઓ છો તો તે તમારી ભૂલ છે. 
 
જો ટીવી જોઈને હળવા થવું હોય તો માહિતીપ્રદ ચેનલ જુઓ. શારીરિક કસરત પણ મગજને તાજુમાજું રાખે છે. તમે શારીરિક રીતે સ્ફૂર્તિ અનુભવતા હશો તો તમારું મગજ પણ ઘોડાની જેમ દોડશે.
 
યોગ મગજના સ્વાસ્થ્ય માટે શારીરિક આરોગ્ય જેટલું જ જરૃરી છે. યોગથી માત્ર શરીર જ નહીં, મગજ પણ સ્ફૂર્તિ અનુભવે છે. પરિણામે સ્મરણ શક્તિ તે જ બને છે જેની સીધી અસર તમારા રોજિંદા કાર્યો પર જોવા મળે છે છે. સવારમાં યોગા કરવાથી ટેન્શન વગેરે જેવી બાબતોથી દિમાગ શાંત રહે છે અને મન પ્રફુલ્લિત રહે છે.