નવી દિલ્હી, તા. 26 નવેમ્બર 2020, ગુરુવાર
દર વર્ષે ભારતમાં 26 નવેમ્બરે નેશનલ દૂધ દિવસ મનાવવામાં આવે છે. દરેકના જીવનમાં દૂધનું મહત્ત્વ સમજાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય દૂધ દિવસ અને વિશ્વ દૂધ દિવસ બે અલગ-અલગ કાર્યક્રમ છે અને અલગ-અલગ દિવસે અલગ અલગ મહત્ત્વની સાથે મનાવવામાં આવે છે.
નેશનલ મિલ્ક ડે સમગ્ર ભારતમાં 26 નવેમ્બરના દિવસે મનાવવામાં આવે છે. વર્ષ 2014માં ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા આ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસ ડૉ. વર્ગીસ કુરિયનને સન્માનિત કરવા માટે સમર્પિત છે જેમને ભારતની શ્વેત ક્રાંતિના જનક માનવામાં આવે છે. 26 નવેમ્બરે તેમની જન્મજ્યંતિ પણ છે. આ દિવસ દેશની ડેરી અને તેના ઉત્પાદનોમાં તેમના યોગદાનને પણ ઉજાગર કરે છે.
પ્રથમ રાષ્ટ્રીય દૂધ દિવસ :
વર્ષ 2014માં ઇન્ડિયન ડેરી એસોસિયેશન (આઇડીએ)એ પ્રથમવાર આ દિવસ મનાવવા માટેની પહેલ કરી. પ્રથમ નેશનલ મિલ્ક ડે 26 નવેમ્બર 2014માં મનાવવામાં આવ્યો હતો, જેમાં 22 રાજ્યોના ડેરી ઉત્પાદકોએ ભાગ લીધો હતો. કેરળના ડૉ. વર્ગીસ કુરિયનને 'મિલ્કમેન ઑફ ઈન્ડિયા' અને વર્ષ 1970ના દશકની શ્વેત ક્રાંતિના જનકના સ્વરૂપે ઓળખવામાં આવે છે.
નેશનલ મિલ્ક ડે વિશે કેટલાક રસપ્રદ તથ્ય :
દૂધ કેલ્શિયમનું સૌથી ઉત્તમ સ્ત્રોત છે અને વિશ્વમાં એકમાત્ર પીણું છે જેમાં આટલા પ્રમાણમાં પ્રાકૃતિક પોષક તત્ત્વ હોય છે. ડૉ. વર્ગીસે દેશને દૂધના પોતાના ઉત્પાદન કેન્દ્રોને સક્ષમ કરવાની દિશામાં કામ કર્યુ છે. અમૂલ ગર્લની જાહેરાતનું અભિયાન ચલાવવામાં તેમનું સમર્થન મહત્ત્વપૂર્ણ હતું, જે દશકોથી સૌથી લાંબા સમય સુધી ચલાતા અભિયાનોમાંથી એક છે. તેમને રેમન મેગ્સેસ પુરસ્કાર, વિશ્વ ખાદ્ય પુરસ્કાર, પદ્મ શ્રી, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને વાટેલર શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.


