જીયાપર ગામમાં વસ્તી કરતા બે ગણા વૃક્ષો ગ્રામજનોને પુરતો ઓક્સિજન પુરો પાડે છે
Updated: May 4th, 2021
- લોકો જીવ બચાવવા ઓક્સિજન માટે દોડાદોડી કરે છે તેવા સમયે
- ઉનાળામાં છાંયડો આપવાની સાથોસાથ અન્ય ગામોને પણ વૃક્ષોના વાવેતરને લઈને પ્રેરણા પુરો પાડતો જીયાપર ગામ
આણંદપર(યક્ષ) : દેશભરમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત ઉભી થઈ છે. ઓક્સિજનના અભાવે દર્દીઓને જીવ ખોવાનો વારો આવ્યો છે. ઓક્સિજનને બચાવવા વધુને વધુ વૃક્ષોનો વાવેતર કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આવા સમયે નખત્રાણા તાલુકામાં આવેલા જીયાપર ગામમાં ગામની વસ્તી કરતા પણ બે ગણા વૃક્ષો છે. લીમડા સહિતના વૃક્ષોને લઈને જીયાપર ગામ અન્ય ગામો કરતા અલગ જ તરી આવે છે.
ભુકંપમાં કારમી થપાટ બાદ નવેસરથી ઉભા થયેલા નવુ નારાયણ નગર(જીયાપર) ગામને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમર્પિત કરવામાં આવ્યો. ચૌદસોથી પંદરસોની વસ્તી ધરાવતું આ ગામ છે.અહીં લોકોની વસ્તી કરતા વૃક્ષોની સંખ્યા ડબલ છે.અને તેમા પણ લીમડાના વૃક્ષો બીજા વૃક્ષો કરતા ચાર ઘણા છે.જીયાપર ગામથી નારાયણ નગર જતા રસ્તાની બને સાઈડમાં લીમડાના વૃક્ષો આવેલા છે. ઉનાળામાં લોકોને છાંયડો મળી રહે છે. લીમડો કડવો છે પણ લોકો માટે ઘણોજ ઉપયોગી છે.
હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકોના જીવ બચાવવા લોકો ઓક્સિજન માટે દોડા દોડ કરી રહ્યા છે.અને રૂપિયા ખર્ચીને લેવો હોયતો પણ આંખે પાણી આવી જાય એવી હાલની પરિસ્થિતિ છે.જયારે આવા વૃક્ષો વગર રૂપિયાએ અને ચોવીસે કલાક લોકોને ઓક્સિજન આપતા હોય છે.છતાં પણ લોકો વૃક્ષો વાવવાને બદલે કાપવા લાગે છે.હાલ સરકાર દ્વારા પણ વૃક્ષારોપણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે.જીયાપર ગામની વસ્તી ચૌદસોથી પંદરસો જેટલી છે.જયારે તેની સામે વૃક્ષોની સંખ્યા ત્રણ હજારથી બત્રીસો જેટલા છે.દરેક ગામડાઓએ જીયાપર ગામની પ્રેરણા લઈને ગામડે-ગામડે વૃક્ષા રોપણ કરીએ જેથી કરીને આપણને ચોવીસે કલાક ઓક્સિજન મફત મળી શકે.અને હાલની જે પરિસ્થિતિ ઉભી થઇ છે.એમા ઘટાડો થઈ શકે એમ છે.