Get The App

મીઠીરોહરઃ વેલ્ડિંગ કરતાં સમયે બ્લાસ્ટ, ગેસનું ટેન્કર ફાટી ગયું

Updated: Nov 20th, 2024

GS TEAM

Google News
Google News
મીઠીરોહરઃ વેલ્ડિંગ કરતાં સમયે બ્લાસ્ટ, ગેસનું ટેન્કર ફાટી ગયું 1 - image

વેલ્ડિંગ કરતાં આધેડનો પગ ૩૦૦ મીટર દૂર બ્રિજ ઉપર જઈ પડયો

ખાલી કરીને લવાયેલા ટેન્કરનું રિપેરીંગ કરતી વેળાએ અંદર પડેલા થોડા ગેસથી એવો પ્રચંડ ધડાકો થયો કે આસપાસનો વિસ્તાર ધુ્રજ્યો

ગાંધીધામ: ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહર ગામ નજીક હાઇવે ઉપરબપોરે એક ગેસ ભરેલા ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ટેન્કરમાં વેલ્ડિંગ કામ કરતાં સમયે બની હતી. જેમાં વેલ્ડિંગ કામ કરનાર આધેડના શરીરનો અડધો ભાગ કપાઈ ગયો હતો અને ચીથડા ચીથડા ઊડી ગયા હતા. જેમાં આધેડના શરીરથી જુદો પડેલો પગ છેક ૩૦૦ મીટર દૂર ઓવરબ્રિજ ઉપર જઈને પડયો હતો. 

આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકથી મળી માહિતી મુજબ આ બનાવ સવારે ૧૧-૩૦ કલાકે બન્યો હતો. જેમાં મીઠીરોહર હાઇવે પર અલાઉદ્દીન વોરાના પ્લોટ નજીક આવેલા જીનામ પાકગ સામે સ્મશાન પુલિયા તરીકે ઓળખાતા બ્રિજ નજીક બન્યો હતો, જેમાં ટેન્કરમાં ગેસ વેલ્ડીંગની કામગીરી દરમિયાન વચ્ચેના ભાગે મોટા અવાજ સાથે ધડાકા સાથે ફાટી ગયો હતો, આ બનાવમાં વેલ્ડિંગ કામ કરવા માટે આવેલા મૂળ ઉત્તરપ્રદેશ અને હાલે આરતી ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં ભચાઉ ખાતે રહેતા ૪૮ વર્ષીય ઇઝહાર અઝમતુલ્લા આલમ નામના આધેડ ગેસ વેલ્ડિંગ કરવા સમયે ફાટી પડેલા ટેન્કરના કારણે હવામાં ઉછળીને દૂર સુધી ફંગોળાઈ ગયા હતા અને તેમના શરીરનો અડધો ભાગના ચીથડે ચીથડા ઊડી ગયા હતા.

આ બનાવમાં મૃતકનો પગ શરીર માંથી છૂટો પડીને ૩૦૦ મીટર દૂર ધોરીમાર્ગના (સ્મશાન પુલ) ઓવરબ્રિજ પર ઉડીને પડયો હતો. અરેરાટી ભર્યા આ બનાવમાં સદભાગ્યે અન્ય કોઈ લોકો ટેન્કરની બાજુમાં ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટેન્કર ગેસથી આખું ભરેલું ન હતું. ખાલી કર્યા બાદ ટેન્કરમાં રહી ગયેલા ગેસના કારણે આ બનાવ બનાવ હતો.  ટેન્કર આખું ભરેલું હોત તો સમગ્ર આસપાસના વિસ્તારને હડફેટે લઈ લીધો હોત તેવું પણ જણાવવામાં આવ્યું હતું.