કચ્છના કુળદેવી મા આશાપુરા આશરે બારસો વર્ષ જૂના મંદિરમાં બિરાજે છે
- જગત જનની જગદંબાના મંદિરનો ઉજળો ઈતિહાસ
- કચ્છના જાડેજા રાજવંશના પ્રથમ રાજવી ખેંગારજી પહેલા માતાજીની કૃપાથી રાજા બનેલા એટલે એમના રાજ્યાભિષેકથી આજ સુધી કચ્છનું રાજકૂળ માતાને પૂજતું રહ્યું છે
ભુજ, શનિવાર
પશ્વિમ કચ્છમાં પવિત્ર અને પ્રાચીન યાત્રાધામ માતાનામઢમાં કચ્છની કુળદેવી ગણાતા આઈ આશાપુરા માતાજીનું પ્રસિધ્ધ મંદિર આવેલુ છે. જે લગભગ બારસો વર્ષ જૂનુ મનાય છે.
કચ્છ જાડેજા રાજવંશના પ્રથમ રાજવી ખેંગારજી પહેલા માં આશાપુરાની કૃપાથી રાજા બન્યા હતા. એટલે એમના રાજ્યાભિષેકથી માંડી આજ લગી કચ્છનું રાજકૂળ માતાને પુજતુ રહ્યુ છે અને અશ્વિની નવરાત્રિમાં રાજકુટુંબ તરફથી આશાપુરા માતાજીને ચામર ઢોળવામાં આવે છે.
ભૂકંપથી મંદિરને નુકશાન થયેલુ ત્યારે સુંદરજી સોદાગર અને લક્ષ્મીદાસ કામદારે ૧૮૨૪માં આ માતૃમંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યુ હતુ. આશાપુરા માતાજીના મંદિરની નજીકમાં ચાચરા ભવાની મંદિર, હિંગલાજ મંદિર અને પ્રખ્યાત 'ચાચરાકુંડ' પણ આવેલા છે. જયાં પવિત્ર સ્નાન કરવાનું અને નવજાત શિશુના બાળમોવાડા ઉતારવાનું મહાત્મય રહેલુ છે.
દર વર્ષે હોમાદિક પૂર્ણાહુતિના દર્શન માટે આસો સુદ આઠમ(હવનાષ્ટમી)ના યોજાતા મોટા મેળામાં દેશ દેશાવરથી હજારો ભાવિકો દર્શનાર્થે એકઠા થાય છે. દર વર્ષે નવરાત્રિમાં હજારો લાખો શ્રધ્ધાળુઓ પદયાત્રાએ માતાનામઢ માતાજીના દર્શનાર્થે આવે છે.
નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પદયાત્રિઓનો પ્રવાહ શરૃ થઈ ગયો છે. આ સાલે પણ લાખોની સંખ્યામાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડશે. મઢમાં નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.