Get The App

ભરશિયાળે માવઠારૂપી વરસાદથી ખેડૂતો અને પશુપાલકો પર આફત ઉતરી

Updated: Nov 19th, 2021

GS TEAM


Google News
Google News
ભરશિયાળે માવઠારૂપી વરસાદથી ખેડૂતો અને પશુપાલકો પર આફત ઉતરી 1 - image


- ખરામાં પડેલો એરંડા, તલ, મગ, ગુવાર, જુવારનો પાક નુકસાન 

- પશુઓમાં રોગચાળાની દહેશત જ્યારે ખેતીમાં કપાસના પાકને અસર થશે

ભુજ : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લામાં બે દિવસથી વરસાદની એન્ટ્રી થઈ છે. આજે મોટાભાગના તાલુકામાં ક્યાંક ઝરપર તો ક્યાંક ધોધમાર વરસાદ ત્રાટકતા ખેડુતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પહેલાથી જ વિવિધ મુદે પરેશાન કિસાનો માવઠારૂપી વરસાદના કારણે વધુ હાલાકી વેઠશે તેવી ભીતી ઉભી થઈ છે. 

કપાસ તથા એરંડાના ઉભાપાકમાં કમોસમી વરસાદથી રોગચાળો થાય તેવી દહેશત 

વાગડથી લઈને પશ્ચિમ કચ્છમાં શિયાળાની સિઝનમાં વરસાદ આવતા આકાશમાંથી આફત આવી પડી છે. અડધાથી એક ઈંચ સુધીના વરસાદના કારણે ખેડુતો ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂત આગેવાન માંડણભાઈ કારાએ જણાવ્યું હતું કે, આ માવઠારૂપી વરસાદના લીધે ચોમાસુપાકના એંરડા, તલ, મગ, ગુવાર, જુવારનો પાક જે કાઢીને ખરામાં પડયો છે. તે પલળી જતાં ભારે નુકશાન થશે. ઉપરાંત ઈયળ કારીયા સહિતના રોગ આવે તેવી શક્યતા છે. તો ખેતરમાં ઉભા પાકના કપાસ એરંડાને પણ વ્યાપક નુકશાન થાય તેમ છે. રવિપાકના વાવેતર કરવામાં આવેલા જીરૂ, રાયડો, ઘઉં કે જેનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં બિયારણની નુકસાની થાય તેમ છે. તો માવઠાના લીધે ઠંડીનો વધારો થશે એટલે પશુઓમાં રોગચાળો વકરશે. જેથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાશે.આખા કચ્છમાં દિવસભર ધુમ્મસ સાથે વરસાદ ચાલુ રહેતા ધરતીપુત્રોની ચિંતા વધી છે.

Tags :