લોકડાઉન-4માં મુંદરામાં બપોરે ચાર વાગ્યે દુકાનો બંધ કરાવતા નારાજગી
- પરિપત્રમાં કરાયેલો ફેરફાર પડયા ઉપર પાટું સમાન
- વેપારીઓનો રોષ : ગ્રાહકો 4 વાગ્યા પછી જ ખરીદી કરવા નીકળે છે
મુંદરા, તા.19 મે 2020, મંગળવાર
સરકારે લોકડાઉન- ૪માં દુકાનોને સવારના ૮ થી બપોરના ૪ કલાક સુધી ચાલુ કરવા છુટ અપાઈ છે. જો કે, આ ફેરફાર વેપારીઓના પડયા ઉપર પાટું સમાન છે. મુંદરામા આજે બપોર ૪ કલાકે દુકાનો બંધ કરાવી દેતા નારાજગી ફેલાઈ હતી.
આવશ્યક સિવાયની દુકાનો બંધ કરાવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. સામાન્ય રીતે ગ્રાહકો સવારના ૮ વાગ્યે આવતા નથી હોતા, ઘરાકી સવારે ૧૦ વાગ્યાથી શરૂ થતી હોય છે એમાંય પ્રખર ગરમીને કારણે બપોરે ૧૨ કલાક પછી લોકો ખરીદી કરવા બહાર નીકળવાનું ટાળે છે બપોર બાદ લોકો ૫ વાગ્યા પછી ખરીદી કરવા નીકળતા હોય છે. ત્યારે લોકડાઉન-૪માં દુકાનનો સમય બદલીને ૮ થી ૪ કલાક સુધી રખાતા દુકાનદારોમાં રોષ ફેલાયો છે. આજે મુંદરામાં ૪ વાગ્યા પછી દુકાનો બંધ કરાવવા પોલીસ ઉતરતા વેપારીઓએ નારાજગી વ્યકત કરી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે ,નવા ફેરફારમાં દુકાનોનો સમય વધારીને ૯ વાગ્યા સુધી કરાય તેવી આશા હતી જે ઠગારી નીવડી છે.